ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રીના હસ્તે એવોર્ડ, રૂ. 3 લાખની ઇનામી રાશિ, પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. શહેર/જિલ્લા માર્ગ સલામતી સમિતિ કેટેગરીમાં માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલી કામગીરી ધ્યાને લેતાં ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ, ગીર-સોમનાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, જિલ્લા માર્ગ સલામતી સમિતિ જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારી શકાય તે માટે વિવિધ પગલાઓ લે છે. જેથી જાન-માલની હાની નિવાળી શકાય. આ સમિતિના અધ્યક્ષ પદે જિલ્લા કલેકટર હોય છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયે આ એવોર્ડ ગીર સોમનાથ જિલ્લા વતી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનીના હસ્તે સ્વીકાર્યો હતો. આ એવોર્ડમાં રૂ. 3 લાખની ઇનામી રાશિ, પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને વાહન વ્યવહાર અધિકારી યુવરાજસિંહ વાઘેલા પણ જોડાયાં હતાં.