દોઢ વર્ષનું બાળક સંક્રમિત : તંત્રમાં દોડધામ, 448 ઘરમાં તપાસ કરાઇ: જેમાં 6ને ઝાડા-ઊલટી થયા હતા તેમના સેમ્પલ લેવાયા જેમાંથી પાડોશમાં રહેતું એક બાળક પોઝિટિવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટ શહેરના લોહાનગરમાં ગત સપ્તાહે કોલેરાનો એક કેસ નોંધાયો હતો જેને લઈને તંત્ર દોડતું થયું હતું અને હવે વધુ એક કેસ તે જ વિસ્તારમાંથી બહાર આવ્યો છે. પાડોશમાં રહેતા પરિવારના દોઢ વર્ષના બાળકના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે છ વર્ષના બાળકને કોલેરા હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ લોહાનગરમાં સર્વેલન્સ મજબૂત બનાવીને 448 ઘરમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 6 દર્દીમાં ઝાડા-ઊલટીની અસર જોવા મળી હતી. જે પૈકી તમામને સારવાર અપાઈ હતી અને તેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી દોઢ વર્ષના બાળકના સ્ટૂલ સેમ્પલમાં કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બાળકની હાલત સ્વસ્થ છે દાખલ કરવાની જરૂર પડી નથી. વિસ્તારમાં કુલ 1700થી વધુ લોકોનો સરવે કરીને આરોગ્ય તપાસ કરાઈ છે અને હાલ એકપણ કેસમાં કોલેરાની અસર જણાતી નથી. જે પહેલા કેસ નોંધાયો હતો તેનાથી થોડે જ દૂર રહેતા પરિવારના બાળકને સંક્રમણ લાગ્યું છે અને તપાસ કરતાં આ બંને પરિવારના બાળકો સાથે રમતા તેમજ એકબીજાના ઘરે જતા હોવાનું માલૂમ પડ્યું છે જેથી આ સંક્રમણ ફેલાયાનું પ્રાથમિક તારણ છે હાલ તો વિસ્તારમાં ચોખ્ખા પીવાના પાણી માટે સમજણ અપાઈ રહી છે.
- Advertisement -
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સફાઈ કરાઈ રહી છે અને દરરોજ મેડિકલ કેમ્પ થઈ રહ્યા છે. જે દૂષિત પાણીના કારણે ફેલાય છે. કોલેરા એક ચેપી રોગ છે જેમાં દર્દીને ઊલટી અને ઝાડા થાય છે. પાણી અને પોષણના અભાવે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે. ત્યાં સુધી કે યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. કોલેરા બેક્ટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદાં પાણીને કારણે ફેલાય છે. આવી સ્થિતિમાં, તમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા શહેરવાસીઓને જ્યાં પાણી આપે છે તે પાણીને પહેલાં ક્લોરિનેશનની પ્રક્રિયામાંથી પસાર કરે છે. ક્લોરિનને કારણે પાણીમાં રહેલા જોખમી બેક્ટેરિયા નાશ પામે છે તેથી તે પાણી પીવા માટે શુદ્ધ બને છે. જોકે હજુ ઘણા લોકો પીવાના ઉપયોગ માટે બોર અથવા તો અન્ય સ્રોતના પાણીનો ઉપયોગ કરે છે. આવા ઘરોમાં પીવાના પાણીને ઉકાળવું જોઈએ ફક્ત એક વખત ઉકાળવાને બદલે પાણી ઓછામાં ઓછું 3 વખત ઉકાળવું જોઈએ અને ત્યારબાદ ઠંડું પાડીને પીવું જોઈએ. આ ઉપરાંત જમતા પહેલાં સાબુથી હાથ ધોવા જોઇએ કે જેથી હાથમાં જાણે અજાણ્યા લાગેલા બેક્ટેરિયાનો નાશ થતા તે પેટ સુધી પહોંચે નહીં. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર તા.1થી 7 દરમિયાન શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી જોકે મલેરિયાનો એકમાત્ર કેસ આવ્યો છે. બીજી તરફ ટાઈફોઈડના પણ એકસાથે 4 કેસ નોંધાયા છે.આ સાથે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મલેરિયાના 10, ચિકનગુનિયાના 17, ડેન્ગ્યુના 20 અને ટાઈફોઈડના 20 કેસ નોંધાયા છે જ્યારે કોલેરાના બે અને મરડાના 2 કેસ આવ્યા છે. બીજી તરફ આ સપ્તાહ દરમિયાન મનપાના આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસના 1076, સામાન્ય તાવના 476, ઝાડા-ઊલટીના 296 કેસ નોંધાયા છે.