દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનની દુકાન દ્વારા અનાજ અપાઈ રહ્યું છે, ત્યારે આ સુવિધાને વધુ આધુનિક બનાવવા માટે રાજ્યમાં પ્રથમ વખત ‘અન્નપૂર્તિ એટીએમ’નો પ્રારંભ કરાવ્યો છે. રેશનકાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈપણ સમયે લાઈનમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં આ અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ થયો છે.
હવે રેશનકાર્ડ ધારકોએ લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
- Advertisement -
આમ તો રાજ્યભરમાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે, ઘણી વખત અનાજ મેળવવા માટે તારીખોની રાહ જોવી પડે છે, તો ક્યારેક ક્યારેક લાંબી લાઈનોમાં પણ ઉભું રહેવું પડે છે, ત્યારે સરકારે રેશનકાર્ડ ધારકોને વધુ સરળ અને અત્યાધુનિક સુવિધા આપવા માટે આ પહેલનો પ્રારંભ કરાવ્યો છે. સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઇલટ પ્રોજેકટ અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયાપરા ખાતે અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો પ્રારંભ કરાવ્યો છે.
અનાજનું ATM રહેશે 24 કલાક કાર્યરત
આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકો ATMમાંથી ચોવિસ કલાક નાણાં ઉપાડી શકે છે, તેવી રીતે થંબ સિસ્ટમ સાથે જોડાયેલા કોઈપણ રેશનકાર્ડધારકો થમ કરીને મળવા પાત્ર એટીએમથી અનાજ મેળવી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપી રહ્યું છે, ત્યારે સામાન્ય, ગરીબ અને શ્રમિક પરિવારના અનેક રેશનકાર્ડ ધારકોને કામ પર જતા હોવાથી સમયનો અભાવ હોય છે, ત્યારે હવે તેઓ પોતાના અનુકૂળ સમય મુજબ આ સ્થળ પરથી પોતાનું રાશન મેળવી શકશે.
- Advertisement -
નોંધાયેલા પરપ્રાંતીય લોકો પણ મેળવી શકે લાભ
આ એટીએમથી રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય નોંધાયેલા લોકો પણ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારક ને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે. ભાવનગરમાં એટીએમ લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું .જ્યારે રાજયમાં સૌ પ્રથમ આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતા લોકોએ રાજ્ય સરકારના કામની સરાહના કરી છે.