રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સાંધો ને તેર તૂટે તેવો ઘાટ
કેથલેબમાં એન્જીયોગ્રાફી મશીન ટેકનિકલ કારણોસર બંધ, બે થી ત્રણ દિવસમાં ફરી શરૂ થઇ જશે તેવો સુપ્રિટેન્ડેન્ટની હૈયાધારણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગનાં દર્દીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે કેથલેબનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જોકે, હાલમાં આ કેથલેબમાં એન્જીયોગ્રાફીનું મશીન બંધ હાલતમાં છે. જેને લઈને અહીંયા સારવાર લેવા માટે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ દર્દીઓ મસમોટા રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. જોકે, બે-ત્રણ દિવસમાં મશીન પૂર્વવત થવાની ખાતરી સિવિલ અધિક્ષકે આપી હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બાદ હાર્ટએટેકનાં કેસોમાં વધારો થયો હતો. આ પૈકીના મોટાભાગના દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોવાથી રાજકોટ સિવિલમાં હાર્ટને લગતી સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ ખાસ કેથલેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે શરૂ કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી કેથલેબમાં એન્જીયોગ્રાફી મશીન બંધ હાલતમાં છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સામાન્ય રીતે જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. જેમાં મેડિસિન અને ડોક્ટરની ટીમ કાર્યરત છે તેમજ કર્ડિયાટ આઈસીયુ પણ શરૂ છે. આ સિવાય કેથલેબમાં જે-તે સમયે બે વસ્તુ શરૂ કરી હતી. જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી આ ટ્રીટમેન્ટ હાર્ટ એટેક આવ્યા બાદ કરવાની હોય છે. ત્યારે એન્જીયોગ્રાફી મશીન બંધ હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે.
સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હાલમાં પણ હાર્ટનાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
જોકે, કેથલેબમાં એન્જીયોગ્રાફી મશીન ટેકનિકલ કારણોસર હાલ બંધ છે. પરંતુ બે થી ત્રણ દિવસમાં કેથલેબ ફરી શરૂ થઈ જશે. તેમજ અગાઉની માફક ફરી હૃદયરોગના દર્દીઓની સારવાર પણ પૂર્વવત કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા હોવાની ખાતરી તેમણે આપી હતી.