હાઇકોર્ટનો મહત્ત્વનો હુકમ 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાઇકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આંગણવાડી વર્કર્સને 24, 800 અને આંગણવાડી હેલ્પવર્કર્સને 20, 300 વેતન ચૂકવો. આ ઉપરાંત 1 એપ્રિલ, 2025 થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવે. સરકારે 06 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે. આમ આંગણવાડી વર્કર્સનો પગાર હાલના 10 હજારથી વધીને 24800 થઈ જશે, જ્યારે આંગણવાડી હેલ્પવર્કરનો હાલનો પગાર 5000થી વધીને 20,300 થઈ જશે. કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચુકવણી કરવી પડશે. હાઇકોર્ટમાં સિંગલ જજે વર્ષ 2024માં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી. અપીલ પર ચુકાદો આપતાં કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપી છે.
- Advertisement -
હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે અપીલકર્તાઓ-કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો, સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર, આંગણવાડી વર્કર(અઠઠ)ને 10 હજાર રૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી 14,800 રૂપિયા મળીને કુલ 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્પર(અઠઇં)ને પણ ન્યૂનતમ મજૂરી 14,800 રૂપિયા વત્તા 5500 રૂપિયા એમ કુલ 20,300 રૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે. ઉપરોક્ત મજૂરી, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે. ત્યારે આગળની તદનુરૂપ સુધારણાઓને આધીન રહેશે.
આંગણવાડી કામદારો અને સહાયિકાઓને સંકલિત બાળ વિકાસ સેવા યોજના-ઈંઈઉજ અમલીકરણ અને ચલાવવા માટે ચોક્કસ નાણાકીય વર્ષના ફાળવેલા બજેટની નિધિમાંથી ચૂકવવામાં આવે છે, અને નિધિ આંગણવાડી કામદારો અને સહાયિકાઓની સંખ્યા જોઈને તૈયાર કરવામાં આવે છે, રિટ પીટિશન દાખલ કરવાના પાછલા ત્રણ વર્ષથી ઉપરોક્ત મજૂરી આપવાના સિંગલ જજ દ્વારા આપવામાં આવેલો નિર્દેશ પાછળથી નાણાકીય બોજમાં નોંધપાત્ર વધારો કરશે. ડબલ જજની બેંચે નિર્દેશ આપ્યા હતા કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલ મજૂરીના બાકી રકમની ચુકવણી કરવા નિર્દેશ આપવામાં આવશે.
આ રકમ 06 મહિનામાં ચૂકવવાની રહેશે. વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારો અને સહાયિકાઓને લાગુ થશે, અને જેઓ આ અદાલતમાં આવ્યા નથી, તેમને હાઈકોર્ટ તરફથી સમાન ઓર્ડર મેળવવા માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં.
- Advertisement -
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000થી વધુ જગ્યા ભરાશે
થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે બાળવિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000થી વધુ જગ્યાઓની જાહેરાત કરી હતી. આ ભરતીથી રાજ્યની અનેક મહિલાઓને પોતાના ઘરઆંગણે જ રોજગારીની તક મળશે. આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી 30 ઓગસ્ટ 2025 સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.