સોમનાથ કોરિડોરમાં ખાંટ રાજપૂતોના 200 વીર યોદ્ધાઓનો ઉલ્લેખ કરવામાં આવે તે બાબતે ચર્ચા કરાઈ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પુરાવા સહિત રજુઆત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામ ગામ ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડીમાં ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, વડીલો, અગ્રણીઓ તેમજ યુવાનોની તા.25.મે ના રોજ એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં 12 પવિત્ર જ્યોર્તિલિંગ પૈકીનાં સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના સમગ્ર સંકુલનું 282 કરોડના ખર્ચે નવનિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોરિડોર યોજનાના ભાગરૂપે સોમનાથના ઐતિહાસિક મહિમા અને સુંદરતાને પ્રકાશિત કરતી એક પ્રદર્શન ગેલેરી/મ્યુઝિયમ હશે. સંગ્રહાલય જૂના સોમનાથ મંદિરોના તોડી પાડવામાં આવેલા ભાગો પ્રદર્શિત કરશે. તેમાં નાગર શૈલીના મંદિર સ્થાપત્યનું પ્રદર્શન કરતી શિલ્પો પણ દર્શાવવામાં આવશે જેમને લઈને ક્ષત્રિય ખાંટ રાજપૂત ઇતિહાસ સંશોધક-મંડળ શૂરવીરોની શૌર્યગાથા ગ્રુપ દ્વારા શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની બેઠકમાં સોમનાથ કોરિડોરમાં 200 વીરોના બલિદાનને સ્થાન આપવા માટે બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાનમાં સોમનાથ મંદિરમાં નિર્માણ થઈ રહેલા સોમનાથ કોરિડોરના ઐતિહાસિક મ્યુઝિયમ સંગ્રહાલયમાં શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના એ 200 શૂરવીર પૂર્વજોની નોંધણી કરાવવાનો હતો. જેમણે વિક્રમ સંવત 1470 (ઈ.સ.1414) માં સોમનાથ દાદા મંદિરનું રક્ષણ કરતાં વિધર્મીઓ સામે પોતાનું બલિદાન આપ્યું હતું.
- Advertisement -
આ બેઠકમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો,વડીલો, અગ્રણીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા સમાજના આગેવાનો, વડીલો અને ઇતિહાસના જાણકારોએ પોતાના જ્ઞાન અને સંશોધનો રજૂ કર્યા હતા.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમજ સોમનાથ દાદાના મંદિર ટ્રસ્ટ સમક્ષ આ વિષયને મક્કમતાથી રજૂ કરવા અને જરૂરી પુરાવાઓ આપવા માટેની રચના પણ તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર સમાજે એકત્ર થઈને આ ભગીરથ કાર્યને સફળ બનાવવાનો સંકલ્પ કર્યો હતો સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ભગવાન સોમનાથ દાદાના મંદીર ટ્રસ્ટના ચેરમેન તરીકે ગૌરવપૂર્ણ દેશના અને સોમનાથ દાદાના મંદિરના વિકાસલક્ષી કામ કરી રહ્યા છે ત્યારે સોમનાથ દાદાના મંદિર રક્ષણ માટે બલિદાનો આપનાર ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના પૂર્વજોના ઇતિહાસને સોમનાથ કોરિડોરમાં સ્થાન મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.