સુખરામદાસબાપુના સાંનિઘ્યમાં ભાગવત કથાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જુનાગઢ જિલ્લાના મેંદરડામાં મધુવંતી નદીના કિનારે ખાખી આશ્રમમાં છેલ્લા ત્રણ દાયકાથી સાધના કરી રહેલા સુખરામદાસબાપુના સાનિધ્યમાં આગામી પાંચમી જૂનથી હરિદ્વાર ગંગા તટે શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન થઈ રહ્યું છે. મેંદરડા ખાખી મઢી આશ્રમના મહંત સુખરામદાસબાપુએ જણાવ્યું કે, બ્રહ્મલિન ગુરૂ મહારાજ રામકિશોરદાસબાપુની ઉર્જાઓ-આશિર્વાદથી હરિદ્વાર ખાતે ભાગીરથી ગંગા તટે કનખલ (ઉત્તરાખંડ)માં શ્રીયંત્ર મંદિરમાં જેઠ સુદ-10ને ગુરૂવાર તા. 05/06/2025 થી જેઠ સુદ-15ને તા. 11/06/2025 બુધવાર સુધી શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન થઈ રહ્યું છે. વ્યાસપીઠ પર પ્રખર ભાગવતાચાર્ય ડો. મહાદેવપ્રસાદ મહેતા કથાનું અમૃતપાન સેવક પરિવારને કરાવશે. પોથીયાત્રા, કપીલ પ્રાગટ્ય, નૃસિંહજી પ્રાગટ્ય, વામનજી પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય અને કૃષ્ણ જન્મોત્સવ જેવા પ્રસંગો કથા મંડપમાં ભાવભેર ઉજવાશે તો આ ભાગવત સપ્તાહમાં સૌ ધર્મપ્રેમીને પધારવા સુખરામબાપુએ ભાવભાર્યુ આમંત્રણ પાઠવ્યુ છે.