ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
તાજેતરમાં પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલતા ક્ષત્રિય આંદોલનને મામલે હિંદુ સંગઠન વિશ્વ હિંદુ પરિષદે સુખદ સમાધાનની અપીલ કરી છે. એક અખબારી યાદીમાં સંગઠને જણાવ્યું કે, આ આંદોલનથી તમામ જ્ઞાતિઓ અને તમામ સંપ્રદાયના સાધુ-સંતો પણ ચિંતાતુર છે અને વહેલામાં વહેલી તકે તેનું સમાધાન આવે તેમ કરવું જોઈએ.
- Advertisement -
સંગઠન દ્વારા જારી કરવામાં આવેલ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું કે, દેશમાં રાજા-રજવાડાંનું યોગદાન મોટું રહ્યું છે અને તેમનાં બલિદાનોથી ઇતિહાસ ભરેલો રહ્યો છે. આખો દેશ આ વાતથી વાકેફ છે. વધુમાં, ક્ષત્રિયો માટે કહેવાય છે કે ‘ક્ષમા વીરસ્ય ભૂષમણ’ (ક્ષમા વીરનું આભૂષણ છે).
આગળ કહેવામાં આવ્યું કે, આપણે શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ અને રામરાજ્યની કલ્પનાને સાકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજમાં સૌનો સાથ-સહકાર આવશ્યક છે. ટઇંઙના ક્ષેત્રમંત્રી અશોક રાવલે પ્રેસનોટ મારફતે જણાવ્યું કે, આ મામલે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી તેમજ મહંત દિલીપદાસજી તેમજ અન્ય સંતો સાથે ચર્ચા થઈ અને તેઓ ઇચ્છે છે કે આ બાબતે રાષ્ટ્રહિત, સામાજિકહિત અને વિશેષપણે હિંદુહિતનો વિચાર કરીને બંને પક્ષે સન્માન જળવાય તે રીતે સુખદ સમાધાન કરવામાં આવે.
આગળ જણાવવામાં આવ્યું કે, સરકાર અને પાર્ટીએ (ભાજપ) ખૂબ મહેનત કરીને સમાજના સહકારથી ઘણાં સારાં કાર્યો કર્યાં છે. આર્ટિકલ 370 નાબૂદ કરવાથી લઈને રામ મંદિર અને અન્ય કાર્યોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે, દેશની પ્રગતિ દર્શાવતાં આ કાર્યોને ધ્યાનમાં લઈને એક સબળ, સમર્થ અને સમરસ સમાજ અને દેશના નિર્માણ માટે સૌ મતભેદો દૂર કરીને એક થઈને મોટું મન રાખીને સુખદ સમાધાન કરે તેવી તમામ સંતો અને વિશ્વ હિંદુ પરિષદ અપીલ કરે છે.