ચક્રવાતી ફેંગલ આજે તમિલનાડુ પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે અહીં ભારે વરસાદની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે મંગળવારે રાત્રે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને જણાવ્યું કે, ચેન્નાઈ, તુતીકોરીન અને અને મદુરાઈ જતી- આવતી ફ્લાઈટને અસર થઈ રહી છે, જ્યારે તિરુચિરાપલ્લી અને સલેમને પણ અસર થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત ડીપ ડિપ્રેશન તાજેતરમાં ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધીમાં, ડીપ ડિપ્રેશન ત્રિનકોમાલીથી ૧૯૦ કિમી દક્ષિણ-પૂર્વમાં, નાગાપટ્ટિનમથી ૪૭૦ કિમી દક્ષિણ-પૂર્વમાં, પુડુચેરીથી ૫૮૦ કિમી દક્ષિણ-પૂર્વમાં અને ચેન્નાઈથી ૬૭૦ કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ ડીપ ડિપ્રેશન બુધવારે વધુ તોફાની બનીને ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે અને તે પછી શ્રીલંકાના દરિયાકાંઠેથી પસાર થતા તમિલનાડુ કિનારે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. આ સિવાય પ્રાદેશિક હવામાન કેન્દ્ર, ચેન્નાઈએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બુધવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. મંગળવારે સવારથી ચેન્નાઈ અને તેના ઉપનગરોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે પ્રદેશ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જયારે અમુક સમયે ભારે વરસાદ પડી શકે છે. ૨૮ નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ માટે ઘણી ચેતવણીઓ જારી કરી છે.
- Advertisement -
૨૬ નવેમ્બરે ત્રણ મધ્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૭ નવેમ્બરે બે જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ચેન્નાઈ માટે ૨૭ થી ૨૯ નવેમ્બર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદની આશંકા છે. તમિલનાડુના અન્ય જિલ્લાઓ જેમ કે કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપેટમાં ૨૭ થી ૩૦ નવેમ્બર સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૨૮ નવેમ્બરે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તેમજ કેટલીક જગ્યાએ તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે.