રાજકોટ શિક્ષણ સમિતિના બિક્કણ ચેરમેને SRP-પોલીસ બોલાવી લીધી
ભાજપની નેતાગીરી ઊંઘે છે અને ‘આપ’ને મુદ્દાઓ આપે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબર સહિતના ડિજીટલ અને પ્રિન્ટ મીડિયા દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી સતત રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક પછી એક કૌભાંડ ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાની ચોકડીએ સાથે મળી યુનિફોર્મ, સ્કૂલ સ્ટેશનરી, રમતગમત સાધનો, પુસ્તકો વગેરેની ખરીદી, કશ્મીર ફાઈલ્સ મુવીના ટિકિટની મફતમાં લ્હાણી, પ્રવાસી શિક્ષકોની ભરતી, કાયમી શિક્ષકોની બદલી, સરકારી શાળા દત્તક આપવા, સરકારી ગ્રાન્ટ દુરુપયોગ તેમજ મહાનગરપાલિકાની હાઈસ્કૂલનું મકાન ખાનગી સંસ્થાને દત્તક આપવા સહિત અસંખ્ય કૌભાંડોના વિગતવાર અહેવાલો વિવિધ ડિજીટલ અને પ્રિન્ટ મીડિયમાં પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે.
અતુલ પંડિત એન્ડ કંપનીનો આડકતરો સંદેશ
- Advertisement -
‘અમને ભ્રષ્ટાચાર, ગેરવહિવટ કરવા દો, વિરોધ કરશો તો અમારી પોલીસ ઉઠાવી જશે!’
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલ અંગેના અહેવાલ બાદ આમ આદમી પાર્ટી દ્વારા આજથી દોઢ મહિના અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પણ આપવામાં આવ્યું હતું આમ છતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કે ઉચ્ચ સત્તાધીશો દ્વારા રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલની કોઈ નક્કર તપાસ કરવામાં ન આવતા કે જવાબદાર પર પગલાં ભરવામાં ન આવતા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ફરી એકવાર રાજકોટ શિક્ષણ સમિતિના કાર્યાલયમાં ચેરમેન અતુલ પંડિતને નિવેદન આપી સમગ્ર કૌભાંડ મામલે સ્પષ્ટતા કરવા અથવા ચેરમેન પદ પરથી રાજીનામું આપવા જણાવવામાં આવ્યું હતું. રાજકોટ આમ આદમી પાર્ટીના સીવાયએસએસના પ્રમુખ સૂરજ બગડા તેમજ શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાએ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આજથી આશરે દોઢ માસ પૂર્વે શિક્ષકોના ગણવેશમાં ખૂબ મોટાપાયે કૌભાંડ થયું હોવાનું સમાચાર પત્રોના માધ્યમથી સામે આવેલ, જેમાં હલકી ગુણવત્તાનો ગણવેશ ફરજિયાત સૂચવેલ દુકાન પરથી જ ખરીદી કરવી વગેરે જેવો વિવાદ થયેલ, તેમજ જે દુકાન પરથી ગણવેશ લેવાનું ફરમાન કરવામાં આવેલ તે દુકાન પણ કોઈ સમિતિ સાથે જોડાયેલ વ્યક્તિની હોવાનું જાણવા મળેલ. આ ગણવેશ માટે એક શિક્ષક દીઠ આશરે રૂા. 5500ની ફાળવણી કરવામાં આવેલ. તેમાં પણ આ રકમની ગ્રાન્ટ ખરેખર શાળાના ડેવલોપમેન્ટ પાછળ વાપરવાની હતી તેના બદલે આમ શિક્ષક-આચાર્યના ગણવેશ પાછળ ફાળવવી અયોગ્ય છે. આમ આવા તમામ મુદ્દે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે આપનો આ સમગ્ર પ્રકરણમાં હાથ હોય તેવા આપ ઉપર આક્ષેપો થયેલ. તેનો ખુલાસો કર્યા વગર તમો 40 દિવસની રજા ઉપર બહારગામ જતાં રહેલ. આ ઉપરાંત શહેરના પોશ વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળા નંબર 93ને ખાનગી સંસ્થાને એમ.ઓ.યુ. કરીને દત્તક આપવામાં આવેલ. જેમાં પણ આપની ગેરહાજરીમાં વિવાદ થયેલ અને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્યએ રસ્તા ઉપર ઉતરવું પડેલ. જે શાળા વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે ચાલતી હોય તેને આમ ખાનગી સંસ્થાને સોંપવી અયોગ્ય છે. વિવાદ થતાં ખાનગી સંસ્થાને એમ.ઓ.યુ. રદ કરવા ખાતરી આપેલ, જે પણ આપની ગેરહાજરીમાં હજુ સુધી રદ થયેલ નથી.
અતુલ પંડિતે આપનાં કાર્યકરો પર પોલીસ મારફતે દમન ગુજાર્યું
આજરોજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કેટલાંક કાર્યકરો ગાંધીચીંધ્યા માર્ગે ચેરમેન અતુલ પંડિતને આવેદનપત્ર આપવા પહોંચવાના હતા પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો શિક્ષણ સમિતિના કાર્યાલય ખાતે પહોંચે તે પહેલાં જ અતુલ પંડિતે પોલીસ બોલાવી લીધી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો શિક્ષણ સમિતિના કાર્યાલયમાં આવતાની સાથે જ ટૂંકસમયમાં તેમની અટકાયત કરાવી દીધી હતી એટલું જ નહીં, આ અટકાયતમાં આમ આદમી પાર્ટીના કેટલાંક કાર્યકરો ઘવાયા પણ હતા. રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે પોલીસ મારફતે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર દમન ગુજાર્યું હતું અને આ ઘટનાના પડઘા પળવારમાં છેક દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગયા હોય તેમણે પણ સમગ્ર મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વને સમગ્ર મામલે તપાસ સોંપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પંડિતે લાજ-શરમ નેવે મૂકી : મારા પર આક્ષેપો છે, સાબિત થયા નથી
આમ આદમી પાર્ટી રાજકોટ સીવાયએસએસના પ્રમુખ સૂરજ બગડા, શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતને વિવિધ ગડબડ, ગોટાળા અને ગોલમાલ અંગે આવેદનપત્ર આપી સમગ્ર મામલે કેટલાંક સવાલો કર્યા હતા ત્યારે અતુલ પંડિતે તમામ લાજ-શરમ નેવે મૂકી બેશર્મીથી કહ્યું હતું કે, મારા પર આક્ષેપો છે પણ સાબિત થયા નથી. મતલબ કે, રાજકોટ શિક્ષણ સમિતિ કે તેમના ચેરમેનને પોતાના પર થઈ રહેલા આક્ષેપો મામલે જરા પણ ગંભીરતા નથી. લાજવાને બદલે ગાજતા ફરતા પંડિત પોતે નિર્દોષ હોય તો ખુલાસો કેમ કરતા નથી એ સૌ કોઈ જાણે જ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક રૂપિયાનું પણ કૌભાંડ નથી થયું એ વાત અતુલ પંડિતના શબ્દો જેટલી જ ખોટી છે. અતુલ પંડિતે કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા તથા દિપક સાગઠિયા સાથે મળી ક્યાં, કેટલું અને કેવું-કેવું સાચું-ખોટું કર્યું છે એ ઓપન સિક્રેટ છે.
ભાજપની નેતાગીરી કેમ ખામોશ? અતુલ પંડિત પર આટલી મહેરબાનીનું કારણ શું?
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા તેમજ તેના સાથી દિપક સાગઠિયા સાથે મળી આચરેલા કૌભાંડ ભાજપ માટે બોજરૂપ બની ગયા છે. આમ છતાં ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા સતત અતુલ પંડિત એન્ડ કંપનીના પાપ ઢાંકવાની પ્રવૃત્તિને અંજામ આપવામાં આવી રહ્યો છે. જો ભાજપના આ ’વહિવટ’દારો પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે છે તો તેમના પર પોલીસ મારફતે દમન ગુજારવામાં આવે છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી ન માત્ર ખાસ-ખબર પરંતુ વિવિધ પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કૌભાંડો અંગેના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે છતાં પણ કોણ જાણે કેમ ભાજપની નેતાગીરી રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતા ગેરવહિવટ મામલે ખામોશ છે અને અતુલ પંડિત પર મહેરબાની દર્શાવી રહી છે એ સૌથી મોટો સવાલ છે.
ચૂંટણી માથા પર છે ત્યારે પંડિતની લીલા પાર્ટી માટે બોજરૂપ: છતાં નેતૃત્વ દ્વારા સતત પંડિતનાં પાપ ઢાંકવાની પ્રવૃત્તિ ચાલું
તાજેતરમાં સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળા નં. 69ના મેદાનમાં આવેલ સરકારી શાળાનું બિલ્ડિંગ જેને પ્રયાસ નામની ખાનગી સંસ્થાને સોંપવમાં આવેલ છે જેમાં વિવાદ ઉત્પન્ન થયેલ છે ત્યારે આમ સરકારી શાળા તેમજ તેના કોઈ ભાગને ખાનગી સંસ્થાને સોંપવું ખૂબ નિંદનીય બાબત છે. આમ, ગણવેશ કૌભાંડ તેમજ શાળા નંબર 93ના વિવાદ સામે અમો આમઆદમી પાર્ટી દ્વારા 5 ઓગસ્ટના રોજ મ્યુનિ. કમિશનર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી કે સમગ્ર બાબતની તપાસ કમિટીની રચના કરીને કાયદેસર તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવી દોષિતોને સજા કરવામાં આવે, પરંતુ ખૂબ દુ:ખ સાથે કહેવું પડે છે કે જે બાબતે કોઈ પણ પ્રકારના ઠોસ પગલાં લેવામાં આવેલ નથી તેથી અમો આમઆદમી પાર્ટી શિક્ષણ સેલ તેમજ વિદ્યાર્થી પાંખ સી.વાય.એસ.એસ.ની સ્પષ્ટ માંગ છે કે આ તમામ મુદ્દે યોગ્ય તપાસ થાય અને તમારા ઉપર જે કંઈ આરોપ છે, જો તે ખોટા હોય તો તેનો તમો ખુલાસો કરો અને જો તે આરોપ સત્ય હોય તો આપ જે પદ ધરાવો છો તેની ગરિમા જળવાઈ રહે તે માટે તેના ઉપરથી તાત્કાલિક ધોરણે રાજીનામું આપો. એવું નિવેદન આજરોજ આમ આદમી પાર્ટીએ આપ્યું છે.
રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડો મામલે આપના કાર્યકરોનું આવેદનપત્ર અને અટકાયતનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…