ભાવનગરનું બોરતળાવ ઓવરફ્લો
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર શહેરનું બોરતળાવ (ગૌરીશંકર સરોવર) ઓવરફ્લો થતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ભાવનગર શહેર નવા બોરતળાવના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે તેનું પાણી બોરતળાવમાં આવતા ગઇ રાત્રે બોરતળાવ 43 ફુટે ઓવરફલો થઇ ગયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં બોરતળાવ ચાર વખત છલકાયું છે.
- Advertisement -
શેત્રુંજી ડેમ બાદ બોરતળાવ પણ છલકાતા ભાવનગર શહેર માટે પાણી પ્રશ્ને નિંરાત થઈ ગઈ છે. ભાવનગરમાં મેઘરાજાએ મહેર વરસાવતા અગાઉ શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો અને બાકી રહ્યું હતું તો હવે સતત વરસાદ વરસતા બોર તળાવના કેચમેન્ટ વિસ્તારમાંથી પણ ભીકડા થઈ બોરતળાવમાં આવક શરૂ થઇ ગઇ હતી. ધસમસતી આવકને કારણે કોર્પોરેશન દ્વારા આગમચેતીના પગલા પણ શરૂ કરી દીધા હતા. અને રાત્રે બોરતળાવની છલક સપાટી 43 ફૂટને પણ પાણી પાર થઈ ગયું હતું. આમ બોર તળાવ ઓવરફ્લો થતાં ભાવનગર વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
ભાવનગર શહેરમાં સાંજે 4.30 પછી મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને બ4 કલાકમાં 4 ઇંચ થી વધુ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરમાં ફરી મેઘ સવારી શરૂ થઈ છે. સવારથી બપોર સુધી તડકો નીકળ્યા બાદ સાંજે 4:30 પછી એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
- Advertisement -
ભાવનગર શહેર ઉપરાંત વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે, ઉમરાળા અને જેસરમાં વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં છૂટોછાયો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.