ટાઉન પ્લાનિંગ, વોટરવર્કસ અને બાંધકામ સહિતના વિભાગોના 35 કર્મચારીઓની બદલી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટમાં બનેલા TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ મનપામાં મોટાપાયે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈ ટાઉન પ્લાનિંગ, વોટરવર્કસ અને બાંધકામ સહિતના વિભાગોના કુલ 35 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. હાલ કરવામાં આવેલી બદલીમાં ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારીઓ, બાંધકામ વિભાગના 13 કર્મચારીઓ, અને વોટર વર્કસના 7 કર્મચારીઓ તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બદલીઓ દ્વારા મોટાપાયે ટાઉન પ્લાનિંગ શાખાનું વિસ્તરણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ TRP અગ્નિકાંડ ઇફેક્ટના કારણે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા સામુહિક બદલીનાં ઓર્ડરો કરવામાં આવ્યા છે.
મનપામાં લાંબા સમયથી તમામ શાખાઓમાં સામુહિક બદલીઓ થઈ નહોતી. જેને લઈને અનેક અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ બ્રાન્ચમાં, એક જ પોસ્ટ ઉપર કે એક જ ટેબલ પર ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે વહીવટી સરળતાના હેતુથી આવા કર્મચારીઓની બદલી કરીને મોટાપાયે સાફસૂફી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બદલીઓ માટે છેલ્લા એકાદ સપ્તાહથી મ્યુ. કમિશનર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. અને આજે ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડમાં સૌથી વધુ ટીપી શાખાની ભૂમિકા સામે આવી હતી. તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના મુખ્ય ટાઉન પલાનર સાગઠિયા સહિત 5 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.