અંબાજીથી દત્તાત્રેય સુધીના 3600 પગથિયાં માટે 6 સફાઈ કર્મી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હાઇકોર્ટ પીઆઈએલ બાદ નિર્દેશ જારી થતા તંત્ર દોડતું થયું છે અને ગિરનારને કાયમી સ્વચ્છ રાખવાની તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં અંબાજીથી દત્તાત્રેય સુધીના 3600 પગથિયા માટે 6 સફાઈ કર્મી એટલે કે 600 પગથિયા માટે એક સફાઈ કામદારને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત સફાઈની નિયમિત દેખરેખ માટે એક સુપરવાઈઝર પણ રહેશે. અંબાજીથી દત્તાત્રેય સુધીના વિસ્તારમાં આઠેક દિવસ પૂર્વે સફાઈ કામગીરીનું પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આમ આ સ્થળોએ કાયમી સફાઈ જળવાઈ રહે તે માટે એક ખાનગી એજન્સીની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ ખાનગી એજન્સીને વાર્ષિક ધોરણે સફાઈની કામગીરી સોંપવામાં આવી છે.તેમજ ગ્રીન ગ્લોબ સોલ્યુશન્સને ગિરનાર પર્વતની પહાડી વિસ્તારની સફાઈ માટે બે વર્ષ માટે ક્વાર્ટરલી બેઝીસ અને ફર્સ્ટ ટાઈમ ડીપ ક્લિનિંગ માટે પણ નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનારની યાત્રા આવતા શ્રદ્ધાળુ-પ્રવાસીઓને તીર્થક્ષેત્રમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિક સહિત અન્ય કોઈ પણ કચરો અને ગંદકી ન ફેલાય તે માટે અપીલ કરવામાં
આવી છે.
હાઇકોર્ટના નિર્દેશ બાદ ગિરનાર સ્વચ્છતા બાબતે તંત્ર દોડતું થયું
