માખીથી ફેલાતા ચાંદીપુરા વાયરસ અનુસંધાને ગ્રામજનોને જાગૃત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધ છે. જૂનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વિવિધ અધિકારીશ્રીઓની ટીમને ગામડાઓની મુલાકાત લેવા જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા સૂચના આપવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોની તંત્ર દ્વારા અલગ અલગ ટિમો કામે લાગી છે.
- Advertisement -
ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના તાલુકાના તમામ સંબંધિત અધિકારીશ્રીઓની ટીમ બનાવી હતી. ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાના અલગ-અલગ ગામડાઓની મુલાકાત લેવામાં આવી હતી.નાયબ કાર્યપાલક ઇજનેર, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને જૂનાગઢ જિલ્લા આરોગ્ય પંચાયતના કર્મચારીશ્રીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા માંગરોળ, વંથલી અને કેશોદ તાલુકા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી. શાળાઓ, આંગણવાડીઓ, ગ્રામ પંચાયતના મકાન, આરોગ્ય કેન્દ્ર વગેરેની ચકાસણી કરવામાં આવી હતી અને સાફસફાઈની આવશ્યકતા હોય તે સ્થળો પર જરુરિયાત મુજબ દવાનો છંટકાવની કામગીરી કરવા સૂચના આપી હતી. ગ્રામ્ય વિસ્તારમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકોને વધુ વરસાદની સ્થિતિમાં સ્થળાંતર કરવા સમજૂત કરવામાં આવ્યા. ફૂડ પેકેટ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી હતી.
પ્રવર્તમાન સેન્ડ ફ્લાય માખીથી ફેલાતા ચાંદીપુરા વાયરસ અનુસંધાને ગ્રામજનોને આ રોગથી કઈ રીતે બચી શકાય તેમજ તકેદારી રાખી શકાય તે અંગે વિગતો આપવામાં આવી હતી. બાળકોમાં આ વાયરસ ઝડપી ફેલાતો હોવાથી તેમના સ્વાસ્થ સંબંધિત ખાસ તકેદારી રાખવી તેમજ યોગ્ય સમયે ચેક-અપ કરવા જણાવ્યું હતું. વંથલી તાલુકાના સેલેરા ગામે અવિરત વરસાદને લીધે ગામ તરફના રસ્તા ઉપર ખૂબ પાણી ભરાતા બે ગ્રામજનો પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમને ગામના જાગૃત્ત લોકો દ્વારા તેમજ તરવૈયા રમેશભાઇ પીઠીયા દ્વારા રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.