ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
છેલ્લાં ઘણાં સમયથી બહારના રાજ્યના ઉદ્યોગપતિઓ, ડીલરો, વેપારીઓ દ્વારા ગુજરાત અને તેમાંય સૌરાષ્ટ્રને ટાર્ગેટ બનાવી ધંધાકીય તથા વેપારી સંબંધો બાંધી બાદમાં લાખો-કરોડોની છેતરપિંડીઓ કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ બની રહે છે ત્યારે સૌરાષ્ટ્રના નામાંક્તિ અને પ્રથમ હરોળના ઉદ્યોગપતિ રાજકોટના રવિ મેટલ ટ્રીટમેન્ટના પ્રોપરાઈટર સાથે પુનાની અર્નવ એન્જીનિયર્સના પ્રોપરાઈટરે ધંધાકીય સંબંધો કેળવી ધંધાના ઉપયોગ માટે ફરિયાદી પાસેથી બે કરોડની રકમ મેળવી 3 લાખ પરત કરી બાકી 1 કરોડ 97 લાખ પરત કરવા આપેલા 14 ચેકો રિટર્ન થતાં તે સંબંધે નીચેની અદાલતમાં 14 કેસો દાખલ થયેલા તે ચાલી રહેલા કેસોના કામે પુરાવો નોંધ્યા બાદ ફરિયાદ વિરુદ્ધ જુદી જુદી 13 કલમો હેઠળ ફોર્જરીનો ગુનો દાખલ કરવા આપેલી અરજી રાજકોટના એડિ. ચીફ જ્યુડિ.એ નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે. કેસની હકીકત જોઈએ તો પુનાની અર્નવ એન્જીનિયર્સના પ્રોપરાઈટર વૈશાલી વિનોદભાઈ શીંદેએ રાજકોટની નામાંક્તિ પેઢી રવિ મેટલ ટ્રીટમેન્ટના માલીક રમેશભાઈ રાચ્છ પાસેથી ધંધા માટે રૂપિયા બે કરોડ લઈ તેમાંથી રૂપિયા 3 લાખ પરત કરી રૂપિયા 1 કરોડ 97 લાખ અદા કરવા કુલ 14 ચેકો આપવામાં આવેલા તે રિટર્ન થતાં તે સંબંધે રાજકોટની અદાલતમાં આરોપી વિરુદ્ધ 14 કેસ દાખલ કરવામાં આવેલા જેમાં ફરિયાદ પક્ષનો પુરાવો પૂરો થયા બાદ આરોપી પક્ષનો પુરાવો નોંધવામાં આવેલ અને કામ દલીલ ઉપર હોય દરમિયાન ફરિયાદી તથા સંબંધિતો વિરુદ્ધ ગુનો દાખલ કરવા આપવામાં આવેલી અરજી સામે મૂળ ફરિયાદ પક્ષે એડવોકેટ સુરેશ ફળદુ મારફત લંબાણપૂર્વકના વાંધાઓ રજૂ કરવામાં આવેલા અને જણાવવામાં આવેલું કે આરોપીનો ઈરાદો માત્ર કામ ડીલે કરવા સબબ હોય અગાઉ પણ બે વાર જુદી જુદી અરજી આપેલી જે નામંજૂર થતાં બંને વાર કુલ 14-14 રીવીઝનો નામદાર સેશન્સ અદાલતમાં દાખલ કરવામાં આવેલી તે પણ નામંજૂર થયેલી છે સદર કામે કોઈ જ ફોર્જ ડોક્યુમેન્ટ બનેલું નથી કે ફોર્જરી આચરવામાં આવેલી નથી વિગેરે લંબાણપૂર્વકની રજૂઆતો કરી આરોપીની અરજી નામંજૂર કરવા જણાવવામાં આવ્યું છે. બંને પક્ષોની રજૂઆતો, રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લેવામાં આવે તો ફરિયાદી દ્વારા એન.આઈ. એક્ટ 138 અન્વયે કુલ 14 ફરિયાદો આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી હોય જેમાં ફોજદારી કેસ નં. 2277/2017 તથા 580/2017 માહેના દસ્તાવેજોનું કંમ્પેરીજન કરતાં અમુક શબ્દમાં છેકછાક હોવાનું જણાવી ફરિયાદી વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવેલું હોય પરંતુ ફોજદારી કેસ નં. 580/2017 પૂર્ણ થઈ ગયેલ હોય તેમાં રકમ ચૂકવાઈ ગયેલી હોય અને કેસ દાખલ થયાના પાંચ વર્ષો બાદ આ પ્રકારની અરજી આરોપી લાવી રહ્યા હોય, નોટીસના રીપ્લાયથી કે ફરિયાદીની ઉલટતપાસ દરમિયાન કે આરોપીના એફ.એસ. દરમિયાન આવી તકરાર ઉઠાવવામાં આવેલી ન હોય, કોર્ટ પ્રીસીડીંગમાં કોઈ ફોર્જરી દાખલ થયેલી ન હોય કે ફોલ્સ એવીડન્સ આપવામાં આવેલું ન હોય નામદાર વડી અદાલતોના તથા એપેક્ષ કોર્ટના ચૂકાદાઓની હકીકતો ટાંકી આરોપીની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં મૂળ ફરિયાદી રવિ મેટલ ટ્રીટમેન્ટના માલીક રમેશભાઈ રાચ્છ વતી સૌરાષ્ટ્રના નામાંક્તિ એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાતરા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયેલા હતા.