કર્મચારી વળતર અધિનિયમ, 1923ની કલમ-3નું વિસ્તૃત અર્થઘટન, લાંબા સમયની અસ્પષ્ટતા દૂર થઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારી વળતર અધિનિયમ, 1923ની કલમ-3 માં દર્શાવેલ રોજગાર દરમ્યાન અને તેના કારણે થતાં અકસ્માતો”ની જોગવાઈમાં હવે કર્મચારીના નિવાસસ્થાન અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરી કરતી વખતે થતા અકસ્માતોનો પણ સમાવેશ થશે. એટલે કે, નોકરી પર જતા અથવા ત્યાંથી પાછા આવતા સમયે થતા અકસ્માતોને પણ “સેવા દરમ્યાન થતા અકસ્માતો” તરીકે ગણવામાં આવશે.
- Advertisement -
ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથની બેન્ચે સ્વીકાર્યું કે આ વિષય પર અત્યાર સુધી ઘણી મૂંઝવણ અને અસ્પષ્ટતા હતી, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યારે કર્મચારીઓ ફરજ પર આવતા કે જતા અકસ્માતોનો ભોગ બનતા હતા. બેન્ચે અવલોકન કર્યું કે તથ્યોના આધારે વિવિધ નિર્ણયોમાં આ અધિનિયમનું અલગ અલગ અર્થઘટન કરવામાં આવ્યું હતું.
બેન્ચે પોતાના નિર્ણયમાં જણાવ્યું: “અમે કર્મચારી વળતર કાયદાની કલમ-3માં ઉપયોગમાં લેવાયેલા ’કામ દરમ્યાન અને કારણે અકસ્માત’ શબ્દનું અર્થઘટન એવી રીતે કરીએ છીએ કે તેમાં કર્મચારી સાથે તેના નિવાસસ્થાનથી ફરજ પર કાર્યસ્થળ પર જતા અથવા ફરજ પછી કાર્યસ્થળથી તેના નિવાસસ્થાન પર પાછા ફરતી વખતે અકસ્માતનો સમાવેશ થાય છે, જો કે અકસ્માતના સંજોગો, તેના સમય, સ્થળ અને રોજગાર વચ્ચે જોડાણ સ્થાપિત કરવું આવશ્યક છે.”
આ ઐતિહાસિક નિર્ણય બોમ્બે હાઈકોર્ટના ડિસેમ્બર 2011ના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આપવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે શ્રમ વળતર કમિશનરના એ આદેશને રદ કર્યો હતો, જેમાં એક વ્યક્તિના પરિવારને ₹3,26,140નું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વ્યક્તિનું ફરજ પર જતી વખતે અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે મૃતક ખાંડ ફેક્ટરીમાં ચોકીદાર તરીકે નોકરી કરતો હતો અને 22 એપ્રિલ, 2003ના રોજ અકસ્માતના દિવસે તેનો ફરજનો સમય સવારે 3 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો હતો. બેન્ચે નોંધ્યું કે, તે નિર્વિવાદ છે કે તે તેના કાર્યસ્થળ તરફ જઈ રહ્યો હતો અને કાર્યસ્થળથી લગભગ પાંચ કિલોમીટર પહેલા એક સ્થળે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય લાખો કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થશે અને અકસ્માત વળતર સંબંધિત કેસોમાં વધુ સ્પષ્ટતા લાવશે.