હાર્દિકને ભાજપમાં લેવા અંગે મહિના પહેલાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું-કચરો ભેગો ન કરાય, હવે મૌન સેવી લીધું !
ખાસ-ખબર સંવાદદાતા
પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. ત્યારે આજથી એક મહિના પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને કચરો ગણાવ્યો હતો, પરંતુ હવે હાર્દિક ભાજપમાં જોડાયા છે ત્યારે દિલીપ સંઘાણીને આ અંગે મૌન સેવ્યું છે. હાર્દિકના ભાજપમાં પ્રવેશથી ભાજપના નેતાઓ ચૂપ થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાઈકમાન્ડનો હાલ દરેક નેતા પર હોલ્ટ છે. કોઈએ એક શબ્દ પણ બોલવાનો નથી. હાર્દિક ભાજપમાં આવે તો તકલીફ તો ઘણાને છે, પણ હવે કોઈ બોલવા તૈયાર નથી અને કડવા ઘૂંટ પી રહ્યા છે.
- Advertisement -
અમે ન્યાયાધીશ નથી કે કોઈને દોષી માનીએ: નીતિન પટેલ
તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાર્દિકના પ્રવેશ અંગે કહ્યું હતું કે અમે ન્યાયાધીશ નથી કે કોઇને દોષી માનીએ. દેશસેવા માટે કોઇને ભાજપમાં જોડાવું હોય તો ભાજપ તેને મોટા પાયે આવકાર આપે છે.
હાર્દિકની એન્ટ્રીથી પક્ષમાં ક્યાંક ને ક્યાંક નારાજગી!
હાર્દિક પટેલના ભાજપમાં આગમન બાદ ભાજપના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે કોઈ ફેર પડવાનો નથી. હાર્દિક તો ઠીક ભાજપે નરહરિ અમીન, અલ્પેશ ઠાકોર જેવા કેટલાય નેતાઓને લઈ લીધા છે છતાં કોઈ ફેર દેખાતો જ નથી. ભાજપમાં તો ગમે એટલી મહેનત કરશે તોપણ તેમનું લેબલ આયાતીનું જ રહેશે. હાર્દિકે ભાજપની સરકાર ઊથલાવવા માટે જે બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કર્યા હતા, હવે તેને જ ભાજપમાં લેવાશે તો પક્ષમાં આંતરિક નારાજગી તો જોવા મળશે.
ભાજપનો ગ્રાફ વધશે કે નહીં, પક્ષમાં ચર્ચા
- Advertisement -
ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ સત્તા સાંભળી રહેલા ભાજપ દ્વારા વિધાનસભામાં 150થી વધુ ધારાસભ્યો સાથે રેકોર્ડ કરવા માટે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યો છે. એમાં પણ તે કોંગ્રેસના મોટા મોટા નેતાઓને ભાજપમાં ભરતી કરવા લાગ્યા હતા. એમ છતાં પણ ભાજપ 150 બેઠક સુધી પહોંચી શક્યો નથી. હવે ભાજપે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલને કેસરિયો ખેસ પહેરાવવાનો છે ત્યારે ભાજપનો ગ્રાફ વધશે કે નહીં એ અંગેની ચર્ચાઓ ભાજપમાં શરૂ થઈ ગઈ છે. એમાં ભાજપ પણ હાર્દિકના મામલે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક કહે છે, હાર્દિકના ભાજપ પ્રવેશથી 2017નું પુનરાવર્તન થતું અટકી શકે છે. એટલું જ નહીં, પાટીદારો જે નારાજ હતા તે પણ ભાજપતરફી આવી શકે છે.