ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચાર કરતાં પણ વધુ દાયકાઓથી ‘ભાઈની ઓફીસ’ નામથી સામાન્ય માનવીના હૃદયમાં અંકિત થયેલ, લોધાવાડ ચોકના પટાંગણમાં સ્થિત અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની ઓફીસ હવે નવા સરનામે સ્થળાંતરિત થયેલી છે. સરનામુ નવું છે પરંતુ અભયભાઈએ ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની અને વકીલાતને માધ્યમ બનાવી સમાજ સેવા કરવાની અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના તમામ સભ્યોની ઈચ્છા શક્તિ હજુ એ જ છે.
- Advertisement -
જે શુભ સમાચાર સાથે અંશ અભયકુમાર ભારદ્વાજ તેમજ અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની સમગ્ર ટીમ દ્વારા તેઓની નવી ઓફીસમાં પધારવા અને સમગ્ર ટીમને આશીર્વાદ આપવા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના સમગ્ર વકીલઆલમને તેમજ સામાજિક, ઔદ્યોગિક અને રાજકીય આગેવાનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અભયભાઈ ભારદ્વાજનો જન્મ આફ્રિકાના યુગાન્ડામાં સન 1954માં થયેલ. તેઓએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ યુગાન્ડામાં કેળવેલ, ત્યાર બાદ યુગાન્ડામાં સિવિલ વોર ફાટી પડતાં સમગ્ર પરિવારે ભારત પરત આવી જવું પડેલ. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અભયભાઈ રાજકોટ ખાતે 16 વર્ષની કિશોર વયે જનસત્તામાં ડેસ્ક એડિટર તરીકે જોડાય અને પરિવાર માટે કમાવવાનું શરૂ કરી દીધેલ હતું, પરંતુ શિક્ષક દંપતિના પુત્ર હોવાના કારણે તેઓએ પોતાનું ભણતર યથાવત રાખેલ હતું અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ.ની ડીગ્રી મેળવી અને એ.એમ.પી. સરકારી લો કોલેજમાંથી એલ.એલ.બી.ની ડીગ્રી મેળવેલ હતી. ત્યાર બાદ અભયભાઈ પોતાના મામા ચીમનભાઈ શુક્લ સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ હતા. થોડા વર્ષો બાદ અભયભાઈએ અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની સ્થાપના કરી પોતાની અલગ ઓફીસ શરૂ કરેલ હતી. લોધાવાડ ચોકમાં આવેલા ‘સુયોગ’ કોમ્પલેક્ષમાં પાંચ બાય પાંચના નાનકડા રૂમથી અભયભાઈએ પોતાની સૌ પ્રથમ સ્વતંત્ર વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલ હતી. અભયભાઈએ સ્વતંત્ર વકીલ તરીકેના શરૂઆતના દિવસોમાં ચીમનભાઈ શુક્લ, ચીમનભાઈ એન. શાહ, શરદભાઈ સોનપાલ, મધુભાઈ સોનપાલ, મોહનભાઈ સાયાણી તેમજ રાજકુમાર ક્રિપાલસિંહ જેવા દિગ્ગજ વકીલો પાસે માર્ગદર્શન મેળવી અને વકીલાતના દાવપેચ શીખેલ હતા.
પાંચ બાય પાંચના નાનકડા રૂમથી શરૂ થયેલ અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ સમય પસાર થતાં વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરતી ગઈ અને અભયભાઈની સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અગ્રેસર વકીલોમાં નામના કેળવાતી ગઈ. આ સમય દરમિયાન અભયભાઈએ અસંખ્ય સંવેદનશીલ અને ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પોતાની ફરજ સફળતાપૂર્વક નિભાવી હતી. 2016માં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના 21માં કાયદા પંચના સભ્ય તરીકે અભયભાઈની નિમણુંક કરવામાં આવી. આથી અભયભાઈ કાયદા પંચનું સભ્યપદ ગ્રહણ કરનાર દેશના ઈતિહાસના સૌ પ્રથમ ટ્રાયલ કોર્ટના એડવોકેટ બન્યા. ત્યાર બાદ ભારત સરકાર દ્વારા અભયભાઈને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલના જજોની પસંદગીની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા. સન 2020માં અભયભાઈ ભારતીયા જનતા પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને 2020ના જૂન મહીનામાં વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ચૂંટાય અને તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ઓગસ્ટ 2020માં રાજ્યસભામાં સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ગુજરાત પરત ફરતા સાથે જ તેઓ કોરોના સંક્રમિત થયા. કોરોના સાથે લાંબી જંગ ઝીલવા છતાં અભયભાઈએ 1 ડીસેમ્બર 2020ના રોજ પોતાનો દેહ ત્યાગ્યો હતો.
- Advertisement -
અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ ઓફીસ એક સૌરાષ્ટ્ર લીગલ યુનિવર્સિટીના નામથી પણ ઓળખાવા લાગેલ હતી કારણ કે અભયભાઈની ઓફીસમાંથી અનેક જુનિયર વકીલો જજ તરીકે તથા અન્ય હોદ્દાઓ ઉપર હાલમાં બીરાજમાન છે અને અન્ય વકીલો પણ તેઓની અલગ ઓફીસની સ્થાપના કરી હાલમાં ખ્યાતનામ વકીલો તરીકે જાણીતા થયા છે. આમ અભયભાઈ ભારદ્વાજની ઓફીસમાંથી અસંખ્ય વકીલોએ શરૂઆત કરીને હાલમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર અને વકીલાત ક્ષેત્રે નામના મેળવેલા છે.
અભયભાઈની આકસ્મિક વિદાય બાદ તેઓના પુત્ર અંશ અભયકુમા ભારદ્વાજ તેમજ પુત્રી અમૃતા અભયકુમાર ભારદ્વાજ દ્વારા અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની જવાબદારી સંભાળવામાં આવી છે. હાલ અભય ભરદ્વાજ એન્ડ એસોસિએટ્સના 30થી પણ વધુ વકીલો ઘણા ચકચારી કેસોમાં પોતાના અસીલોનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ‘ભાઈની ઓફીસ’ હવેથી અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના નામે ધ સ્પાયર-2, 401, 4થો માળ, શીતલપાર્ક ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્થળાંતર થઈ હોય સૌ આમંત્રિતોને તેમજ શુભેચ્છકોને તા. 20 ને રવિવારના રોજ સવારના 9-00થી 2-00 કલાક સુધીમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.