ગામમાં ક્યારેય નથી થઈ પંચાયતની ચૂંટણી: પૂર્વ સરપંચ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં કુલ 114 સામાન્ય અને 193 પેટા મળીને 307 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. અત્યાર સુધીમાં 29 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ચૂકી છે અને હજુ પણ વધુ પંચાયતો સમરસ બને તેવી શક્યતા છે. જોકે, 163 વોર્ડમાં એક પણ ઉમેદવારીપત્ર ન ભરાયું હોવાનું સામે આવ્યું છે. આ બધા વચ્ચે અમરેલીના લાઠી તાલુકામાં આવેલું પ્રતાપગઢ ગામ એક અનોખી મિસાલ પૂરી પાડે છે. આ ગામમાં આઝાદીના દાયકાઓથી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી!
પ્રતાપગઢ ગામના પૂર્વ મહિલા સરપંચના દાવા મુજબ, “હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે અમારું ગામ સમરસ જાહેર થયું છે. આઝાદીના સમયથી અમારા ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી.” ગ્રામજનોનું પણ કહેવું છે કે, ગામમાં સરપંચ અને સભ્યોની હંમેશા બિનહરીફ વરણી કરવામાં આવે છે. સમરસ ગામ બનવાને કારણે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે, જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરી શકાય છે. પ્રતાપગઢ ગામની કુલ વસ્તી લગભગ 1200 છે, પરંતુ મોટાભાગના લોકો સુરત સહિતના શહેરોમાં વસવાટ કરે છે. હાલમાં ગામમાં 200થી 300 જેટલા લોકો સ્થાયી વસવાટ કરી રહ્યા છે. આ ગામના અનેક ઉદ્યોગપતિઓ સુરતના હીરા ઉદ્યોગ અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા છે, જેમણે પોતાના વતન પ્રતાપગઢના વિકાસમાં સિંહફાળો આપ્યો છે.
આ ગામમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રતાપગઢ તેની સ્વચ્છતા, સુવ્યવસ્થિત રોડ-રસ્તાઓ, અને ઘરે-ઘરે પાણીની ઉત્તમ વ્યવસ્થા માટે જાણીતું છે. આ ઉપરાંત, અહીં કમ્પ્યુટર લેબ ધરાવતી આધુનિક શાળા અને સુવિધાયુક્ત ગ્રામ પંચાયત પણ કાર્યરત છે. ગામમાં ઓક્સિજન પાર્ક પણ નિર્માણ કરવામાં આવ્યો છે, જે ગ્રામજનો માટે આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડે છે. સમરસતા અને વિકાસનું આ અનોખું ઉદાહરણ અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક બની રહ્યું છે.