આશરે 1500 લોકો સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ, એસપીને રજુઆત : અનિલ માટીયા, લાલભાઈ મેવાડા, ભુપત બાંભવા સામે નામ જોગ આરોપ
પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવા મહિલા અરજદારની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર, તા.17
વિરપુરમાં જય જલારામ માર્કેટિંગના નામે સ્કીમ કાઢી, અનેક રોકાણકારોના રૂપિયા લઈ ત્રિપુટી ફરાર થઈ જતા રાજકોટ જિલ્લા ગ્રામ્ય એસપીને રજુઆત કરવામાં આવી છે. આશરે 1500 લોકો સાથે છેતરપીંડી થયાનો આક્ષેપ છે. આ સ્કીમ ચલાવતા અનિલ માટીયા, લાલભાઈ મેવાડા, ભુપત બાંભવા સામે નામ જોગ આરોપ લગાવાયા છે.
- Advertisement -
આ અંગે મળતી વિગત મુજબ, વિરપુરમાં ડેઇલી બચત સ્કીમ સહિત જુદી જુદી સ્કિમોના નામે 1500થી વધુ અરજદારો પાસે કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને જય જલારામ માર્કેટિંગ પેઢીના ત્રણ સંચાલકોએ દેવાળું ફુંકીને ઉઠી જઈને અરજદારોને રૂપિયા પરત આપ્યા વગર ઓફિસને તાળા મારી અલોપ થઈ ગયા હતા. સ્કીમમાં ફસાયેલા પૈસા મુદે સ્થાનિક વિરપુર પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા, મહિલા અરજદારે રાજકોટ ગ્રામ્ય એસપી જયપલસિંહ રાઠોડને લેખિતમાં રજૂઆત કરી છે.
ન્યાયિક કાર્યવાહી નહીં કરે તો, હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સંચાલકોએ જલારામ ભક્તો હોવાનું કહી સ્કીમની ડાયરીમાં પૂ.જલારામ બાપનો ફોટા છાપીને વિશ્ર્વાસે પૈસા લીધા બાદ અરજદારો સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ સ્કીમથી ખુદ વિરપુરના જલારામ ભક્તોમાં પણ નારજગી પ્રવર્તી રહી છે.
રજુઆત મુજબ, વિરપુરના 1500 જેટલા ગ્રામજનો પાસે ડેઇલી બચત સ્કીમના નામે જય જલરામ માર્કેટિંગ નામની પેઢીના ત્રણ સંચાલકોએ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે. કાજલબેન જયસુખભાઈ સરવૈયા(રહે.એસ.બી.આઈ બેંકની પાછળ, વિરપુર)એ અરજીમાં જણાવ્યું છે કે, અમારા ગામમાં જય જલારામ માર્કેટિંગ નામે ડેઇલી બચતની સ્કીમ ચાલતી હતી.
આ સ્કીમ અનિલ માટીયા, લાલભાઈ મેવાડા, ભુપત બાંભવા ચલાવતા હતા. બચતમાં અમે પણ સભ્ય હતા. અમે મહિને 4000 આપતા હતા. તેઓ અમારી બચત સ્કીમની ડાયરીમાં સહી કરી આપતા હતા. અમે રૂ.1,01,500 નું રોકાણ કરેલ છે. આ ત્રણેય સંચાલકોએ પોતાની ઓફિસને રાતો રાત તાળાં મારીને દીધા હતા. આ કૌભાંડમાં ત્રણેય આરોપી સામે આઇપીસી 406, 409, 420, 120 બી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા માંગ છે.