વર્ષ 2026ની હોળી ભૌગોલિક અને જ્યોતિષીય દૃષ્ટિએ અત્યંત દુર્લભ અને અચરજ પમાડે તેવી સાબિત થવાની છે. સામાન્ય રીતે હોલિકા દહન અને ધુળેટી સતત બે દિવસ આવતા હોય છે, પરંતુ 2026માં આ બંને તહેવારો વચ્ચે 24 કલાકનો મોટો વિરામ જોવા મળશે. આ વખતે હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રે(3 માર્ચની વહેલી સવારે) થશે, જ્યારે ધુળેટી 4 માર્ચના રોજ રમાશે. આ અટપટા ગણિત પાછળનું મુખ્ય કારણ ભદ્રાકાળ અને હોળીના દિવસે જ યોજાનારું પૂર્ણ ચંદ્રગ્રહણ છે.
પૂનમની સાથે જ ‘ભદ્રા’ બેસતા હોલિકા દહનમાં વિલંબ
- Advertisement -
જ્યોતિષીય ગણતરી મુજબ 2 માર્ચ, 2026ના રોજ સાંજે પૂનમની તિથિ શરૂ થતાની સાથે જ ‘ભદ્રા’ બેસી જશે. શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળમાં હોલિકા દહન અશુભ માનવામાં આવે છે, તેથી જ્યારે રાત્રે 12:50 કલાકે ભદ્રા સમાપ્ત થશે, ત્યારબાદ જ હોલિકા પ્રગટાવી શકાશે. આમ, દહનનું શ્રેષ્ઠ મુહૂર્ત 2 માર્ચની મધ્યરાત્રિએ 12:50થી 3 માર્ચની વહેલી સવારે 02:02 સુધી રહેશે. આ વિલંબને કારણે પરંપરાગત ક્રમમાં ફેરફાર થયો છે.
બીજી તરફ 3 માર્ચ, 2026ના રોજ ભારત પર પૂર્ણ ચંદ્રગ્રહણનો ઓછાયો જોવા મળશે. આ ખગોળીય ઘટનાને કારણે 3 માર્ચની સવારથી જ સુતક કાળ શરૂ થઈ જશે, જે સાંજે 06:47 વાગ્યે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલશે. શાસ્ત્રોક્ત નિયમો મુજબ સુતક અને ગ્રહણ દરમિયાન ધુળેટી રમવી, ઉત્સવ ઉજવવો કે ભોજન કરવું વર્જિત હોવાથી 3 માર્ચના રોજ આખું ભારત ‘સૂતક’ પાળશે અને ધુળેટી રમાશે નહીં. લગભગ 100 વર્ષ બાદ હોળી પર ભારતની ધરતી પર આવું દ્રશ્ય દેખાશે, જ્યાં ચંદ્ર ‘બ્લડ મૂન’ એટલે કે તાંબા જેવો લાલ દેખાશે.
4 માર્ચે ઘરનું શુદ્ધિકરણ કર્યા બાદ જ રમી શકાશે ધુળેટી
- Advertisement -
ગ્રહણની સમાપ્તિ અને શુદ્ધિકરણ બાદ, અંતે 4 માર્ચ, 2026ના દિવસે ધુળેટી ઉજવવામાં આવશે. જ્યોતિષીઓનું માનવું છે કે બુધવારનો સ્વામી બુધ ગ્રહ છે, જે હાસ્ય-વિનોદ અને બુદ્ધિનો કારક છે, તેથી આ દિવસની હોળી લોકોમાં માનસિક તણાવ દૂર કરી સંબંધોમાં મીઠાશ લાવશે. ભક્તોએ 3 માર્ચના રોજ મૂર્તિઓને સ્પર્શ ન કરવા અને ભગવાનની સાધનામાં સમય વિતાવવા સલાહ આપવામાં આવી છે, જ્યારે 4 માર્ચે ઘરનું શુદ્ધિકરણ કરીને અબીલ-ગુલાલથી તહેવારની ઉજવણી કરી શકાશે.




