ખાસ-ખબર સંવાદદાતા
વર્તમાન સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે તે વાસ્તવિકતા છે.
આવા સમયે ગરીબ કે નિરાધાર બાળકોને શિક્ષણ મળવું એક સપનું બની ગયું છે અને ખાનગી શાળામાં ફી ભરીને પોતાના બાળકોને ભણાવવા બધા વાલીઓ આર્થિક રીતે સક્ષમ નથી ત્યારે આવા સમયે મોરબીમાં છેલ્લા 30 વર્ષથી શિક્ષણક્ષેત્રે જાણીતી સંસ્થા ઓમ શાંતિ વિદ્યાલયના સ્થાપક, સંચાલક અને મેનેજીંગ ટ્રસ્ટી ટી. ડી. પટેલે તેમની શાળામાં 39 બાળાને નિ:શુલ્ક શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારીને બાળાઓને નિ:શુલ્ક શાળામાં પ્રવેશ આપેલ છે જેમાં વિકાસ વિદ્યાલયની 33 બાળા, યદુનંદન ગૌશાળાના 3 વિદ્યાર્થીઓ, મધર ટેરેસા આશ્રમની 3 બાળા મળીને કુલ 39 વિદ્યાર્થિનીને શાળામાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે.
- Advertisement -
આ અનાથ બાળાઓને શાળામાં જ્યાં સુધી ભણે ત્યાં સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે અને સાથે સાથે બે જોડી યુનિફોર્મ અને પુસ્તકો પણ આપવાની જાહેરાત કરાઈ છે. આમ, ઓમ શાંતિ વિદ્યાલયે સાબિત કરી બતાવ્યું છે કે, ખાનગી સ્કૂલ માત્ર ફી માટે નહીં પરંતુ સામાજિક જવાબદારી સ્વીકારી સમાજમાં સમાનતા માટે પણ પ્રયત્નશીલ છે. આ ઉપરાંત શાળાના આચાર્ય જણાવે છે કે, સમાજના કોઈ અગ્રણીઓ કે સેવાભાવી સંસ્થાઓ આ બાળાઓની ફી ભરવાની જવાબદારી લેવા માટે તૈયાર હોય તો તે આવકાર્ય છે. અન્યથા સંસ્થામાં ભણે ત્યાં સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.