ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરીનું કામ કરતાં યુવક-યુવતી દાગીના જોઈ મોહી ગયા હતા
હત્યાને અંજામ આપી, વૃદ્ધના જ ઘરમાં સ્નાન કરી, કપડાં બદલાવી નીકળી ગયા
ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી આધારે લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલી નાખી તમામ મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં 70 વર્ષીય વૃદ્ધની લૂંટ વિથ મર્ડરની મિસ્ટ્રી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી છે. એક વર્ષ પહેલા ગોલ્ડલોનના નામે સંપર્કમાં આવેલી યુવતીએ જ તેના પ્રેમી સાથે મળીને વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા. પહેલા દાદાને વાતોમાં ફસાવ્યા ને જ્યારે તે ઊભા થઈને બીજી તરફ જવા ગયા ને પ્રેમીએ દાદા પર પાછળથી છરીનો ઘા ઝિંક્યો. જોકે, દાદાએ બચવા ઝપાઝપી કરીને છરી હાથમાં લઈ લીધી તો યુવતીએ પેટમાં છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટ વિથ મર્ડરના ડિટેકશન અંગે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે વૃદ્ધ બરકતભાઇ લાખાણીને લૂંટી લેવાનું કાવતરું યુવતીએ ઘડ્યું હતું. સ્નેહલબા બે બહેનમાં મોટી છે તેના પિતા પ્રતાપસિંહ બે શિફ્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે છતાં બંને પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનું માનતા હતા અને પુત્રી સ્નેહલબાને સિવિલ એન્જિનિયર બનાવવી હતી. નાની પુત્રીએ પણ તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષામાં 90થી વધુ ટકા મેળવ્યા હતા પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે સ્નેહલબાએ અગાઉ એક ખાનગી બેંકમાં નોકરી શરૂ કરી હતી અને તેમાં ગોલ્ડ પર લોન વિભાગમાં નોકરી કરતી હતી ત્યારે તેનો પરિચય એકલા રહેતા બરકતભાઇ સાથે થયો હતો છ મહિના પહેલાં તે ઇ-કોમર્સ કંપનીમાં નોકરી પર રહી હતી ત્યાં નોકરી કરતાં કિશન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો એક મહિના પહેલાં બંનેની નોકરી છૂટી ગઇ હતી પૈસાની જરૂરિયાત ઊભી થતાં સ્નેહલબા દ્વારા કાવતરું ઘડાયું હતું, તેણે બરકતભાઇ લાખાણી અંગે પ્રેમી કિશનને વાત કરી હતી અને તેને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો. બરકતભાઇ અને સ્નેહલબા એક વર્ષથી પરિચયમાં હતા. બંને એકબીજા સાથે મોબાઇલમાં ચેટિંગ કરતા હતા. હત્યાના ત્રણ દિવસ પહેલાં પણ સ્નેહલબા અને કિશન કાવતરાના ભાગરૂપે બરકતભાઇના ઘરે ગયા હતા અને થોડો સમય બેસી રવાના થઇ ગયા હતા. તા.6ના કાવતરાને અંજામ આપવા ફરીથી બરકતભાઇના ઘરે ગયા અને ઠંડા કલેજે વૃદ્ધની હત્યાને અંજામ આપ્યો હતો ક્રાઇમ બ્રાંચની ટીમે શનિવારે રાત્રે ધરમ સિનેમા સામેના કારડિયા રાજપૂત છાત્રાલયમાં રહેતા મૂળ જામજોધપુરના સતાપર ગામના કિશન માનસીંગ વાઢેર (ઉ.વ.22) અને તેની પ્રેમિકા કોઠારિયા સોલવન્ટ પાસેના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતી મૂળ તળાજાના છાત્રા ગામની સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ ઉ.22ની ધરપકડ કરી સોનાના દાગીના સહિત 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
બંનેએ એવી કબૂલાત આપી હતી કે શુક્રવારે સાંજે કિશન અને તેની પ્રેમિકા સ્નેહલબા વૃદ્ધ બરકતભાઇના ઘરે ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ ત્રણેય સાથે બેઠા હતા કિશન અને બરકતભાઇએ સાથે સિગારેટ પીધી હતી. ત્યારબાદ બરકતભાઇ પીવાનું પાણી લેવા માટે રસોડા તરફ ગયા હતા તે સાથે જ કિશન અને સ્નેહલબા પણ તેની પાછળ ચાલતા થયા હતા. નજીક પહોંચતા જ સ્નેહલબાએ કહ્યું હતું, ‘માર આને’ તે સાથે જ કિશને પાછળથી બરકતભાઇના મોઢે હાથ દઇ દીધો હતો અને તેને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. બરકતભાઇએ પણ પ્રતિકાર કર્યો હતો અને છરી પડાવી લીધી હતી, પરંતુ લોહી વહેવા લાગ્યું હતું તે સાથે સ્નેહલબાએ તેમની પાસેથી છરી આંચકી લઇ ફરીથી બરકતભાઇને છરીના ઘા ઝીંકી દીધા હતા ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી.બસિયા, પીઆઇ ડામોર અને પીએસઆઇ એ.એન.પરમાર સહિતની ટીમ મેદાને ઉતરી હતી. પોલીસે ઘટના સ્થળ નજીકથી સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. સીસીટીવીમાં એક્ટિવા પર પ્રેમીયુગલનું આવવું અને તેનું બરકતભાઇના ઘરેથી બહાર નીકળ્યા બાદ કપડાં બદલાઇ ગયાનું ફૂટેજમાં દેખાતા પોલીસ ચોંકી હતી ત્યારબાદ વધુ ફૂટેજ ચેક કર્યા તો આ યુગલ મુખ્ય માર્ગને બદલે શેરી-ગલીમાં જતું દેખાયું એટલું જ નહીં ધરમ સિનેમા નજીક તો યુવતીએ પોતાનો વધુ એક દુપટ્ટો બદલી નાખ્યો હતો આમ બંનેના કપડાં બદલવા અને સ્કૂટરની નંબર પ્લેટ વાળી દેવાની હરકત પોલીસને શંકાસ્પદ લાગી હતી અને બંનેને ઉઠાવી લઇ ભેદ ઉકેલી નાખ્યો હતો પ્રાથમિક પૂછતાછમાં બંને એક એક જોડી કપડાં લઈને ગયા હતા હત્યાને અંજામ આપી બંને તેના જ ઘરમાં નહાયા હતા અને કપડાં બદલીને પછી નીકળ્યા હતા વૃદ્ધની હત્યા અને લૂંટ ચલાવવાના ગુનામાં ઝડપાયેલા કિશન અને તેની પ્રેમિકા સ્નેહલબાએ શાતિર ગુનેગારને પણ પાછળ છોડી દે તેવી કબૂલાત આપી હતી, બંનેએ કહ્યું હતું કે, બરકતભાઇ પાસેથી સોનું લૂંટવા તેને મારી નાખવાનું નિશ્ચિત કર્યું હતું અને તે માટે પૂરી યોજના ઘડી હતી. બરકતભાઇના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ એક્ટિવા ઊભું રાખી તેની નંબર પ્લેટ વાળી નાખી હતી, જેથી સીસીટીવી કેમેરામાં નંબર પ્લેટ ન દેખાઇ, એટલું જ નહીં હત્યા કરતી વખતે લોહીના ડાઘ ઊડે તો કપડાં પરથી કોઇને શંકા ઉપજી શકે તેવી ગણતરી સાથે પ્રેમીયુગલ એક એક જોડી કપડાં સાથે લઇ ગયું હતું અને બરકતભાઇની હત્યા કર્યા બાદ બંનેએ કપડાં બદલાવી નાખ્યા હતા. ત્યારબાદ બરકતભાઇના ઘરેથી નીકળીને મુખ્ય માર્ગ પર સ્કૂટર ચલાવવાને બદલે શેરી-ગલીના માર્ગે ફરતા રહ્યા હતા જેથી સરકારી સીસીટીવી કેમેરામાં પોતે કેદ ન થાય.