કથામૃત:
એક માણસનું મૃત્યુ થયું. ભગવાનના દૂતો એને તેડવા માટે આવ્યા. જીવન દરમિયાન ખૂબ સારાં કામો કરેલાં એટલે એને પૂર્ણ આદર સાથે દેવદૂતો પોતાની સાથે લઈ ગયા. પેલા માણસે દેવદૂતોને પૂછ્યું, તમે મને ક્યાં લઈ જાવ છો? દેવદૂતોએ કહ્યું, ભગવાન તને મળવા માટે આતુર છે, માટે તને ભગવાન પાસે લઈ જઈએ છીએ.
એક પછી એક દરવાજા પસાર કરતા કરતા દેવદૂતો આ માણસને લઈને આગળ વધી રહ્યા હતાં. એક ખૂબ મોટું મેદાન આવ્યું. પેલા માણસના પગ થંભી ગયા. એ તો આંખો ફાડીને જોઈ જ રહ્યો. આ મેદાનમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જુદી જુદી ભેટો સરસ મજાના રેપરમાં પેક થઈને પડી હતી. પેક થયેલી ગિફ્ટના ઢગલે ઢગલા હતા. રાક્ષસી કદની ભેટથી શરૂ કરીને સાવ નાની નાની ભેટો પણ હતી.
- Advertisement -
પેલા માણસે દેવદૂતોને પૂછ્યું, આ બધું શું છે? આ રેપરમાં શું પેક કરેલું છે? અને આ કોને આપવાનું છે?
દેવદૂતે દુ:ખી હૃદયે જવાબ આપ્યો, ભાઈ, આ રેપરમાં જુદી જુદી ભેટો છે. કોઈમાં રૂપિયા છે તો કોઈમાં બંગલો છે. કોઈમાં નોકરી છે તો કોઈમાં છોકરી પણ છે. પૃથ્વી પરના માણસો એ જે જે ઇચ્છા કરી એ બધું જ આમાં છે. પેલા માણસે આશ્વર્ય સાથે પૂછ્યું, તો પછી બધું અહીં કેમ છે? એ કેમ કોઈને આપ્યું નથી? દેવદૂતોએ સ્પષ્ટતા કરતા કહ્યું, જેમણે જેમણે કંઈક મેળવવાનું નક્કી કર્યું એને એની ઇચ્છા મુજબની વસ્તુ આપવા માટે ભગવાને સરસ મજાનું ગિફ્ટ પેક તૈયાર કર્યું; પરંતુ તેને આપે તે પહેલા જ માણસે તે મેળવવાના પ્રયાસ છોડી દીધા. એટલે એ અહીં જ પડી રહ્યા. જો થોડી વાર વધુ પ્રયાસ ચાલુ રાખ્યા હોત તો ચોક્કસ બધાંને એની ઇચ્છા મુજબનું મળી ગયું હોત! આપણે પણ જીવનમાં આ જ ભૂલ કરીએ છીએ. કંઈક મેળવવાના પ્રયાસ ચાલુ કરીએ અને પ્રભુ એ આપવાની તૈયારીમાં જ હોય ત્યાં આપણે પ્રયાસ છોડી દઈએ છીએ.
બોધામૃત:
અતિમૂલ્યવાન રત્નો મળવા છતાં પણ દેવતાઓ સંતુષ્ટ ન થયા અને ભયંકર ઝેર મળવાથી ડરી ન ગયા. અમૃત ન મળવા સુધી એ રોકાયા વગર કામ કરતા જ રહ્યા; એવી રીતે ધીરજવાન માણસ નક્કી કરેલા કાર્યથી ક્યારેય પીછેહઠ કરતા નથી.
- Advertisement -
અનુભવામૃત:
હું તો નસીબમાં ખૂબ વિશ્વાસ કરું છું. જેમ જેમ હું મહેનત કરતો જાઉં છું તેમ તેમ મારું નસીબ ઉઘડતું જાય છે!
– થોમસ જેફરસન