કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મળેલી બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં યોજાનાર ગણેશ ઉત્સવની ઉજવણીને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કરાયું હતું. પોરબંદર જિલ્લામાં ધામધૂમ પૂર્વક આજથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં છે. ગણેશ ઉજવણીને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આજે 7 સપ્ટેમ્બરથી શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાજતે ગાજતે ગણેશજીનું સ્થાપન કરાશે. ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર જિલ્લામાં પોલીસ દ્વારા હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી છે.
- Advertisement -
કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. કમલાબાગ, કીર્તિમંદિર, ઉદ્યોગનગર અને હાર્બર મરીન વિસ્તારના આયોજકો તથા આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. ગણેશ મોહત્સવની ઉજવણીના તહેવાર દરમિયાન શાંતિ અને સદ્ભાવના જાળવવા અંગે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ, પી.આઈ. રીના રાઠોડ,પી.આઈ જે.જે.ચૌધરી સહિત મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં.