પેડલરોની કમર ભાંગી નાખવા પોલીસને સતત વોચ રાખવા જેસીપીની તાકીદ
રાજકોટ પોલીસે ગત મહિને 3 કેસ કરી 21 કિલો ગાંજો પકડી પાડ્યો : ડીસીપી ક્રાઇમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગને ખાસ સૂચના આપી હતી. જેમાં ડ્રગ્સનું વેચાણ થાય છે એવા જંગલેશ્ર્વર, રૈયાધારમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ ગોઠવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન છેલ્લા 1 મહિનામાં ગઉઙજના 3 કેસમાં 21 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડયાનુ જાહેર થયું હતું.
- Advertisement -
ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હેઠળ શાળા કોલેજ ઉપરાંત ડ્રગ્સ વેચાણ સાથે જોડાયેલા જંગલેશ્ર્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં પણ કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો હાથ ધરવા અધિક પોલીસ કમિશનરે સૂચના આપી હતી. રાજકોટ શહેરમાં ડ્રગ્સ વેચાણ કરતા લોકો પર હાલમાં જ કડક હાથે કામગીરી કરવામાં આવી છે ત્યારે અન્ય લોકો આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ છોડી દે માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. તેઓએ યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રિવેંશન પર ભાર મૂકી જનજાગૃતિ અભિયાન અસરકારક રીતે આગળ વધારવા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ કોલેજ અને યુનિવર્સિટીના અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં ઉપસ્થિત ડી.સી.પી. ઝોન-1 સજ્જનસિંહ પરમારે ડ્રગ્સની સામાજિક તેમજ આર્થિક દુરોગામી અસરો વિષે જણાવી ખાસ કરીને પેરેન્ટ્સ તેમના બાળકોને આવા દૂષણોથી દૂર રહે તે માટે જાગૃત બનવા અપીલ કરી હતી નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન અંગે ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલા ડ્રગ્સનાં કેસની માહિતી પૂરી પાડતા ગત માસમાં ગઉઙજના ત્રણ કેસમાં કુલ 21 કિલોગ્રામથી વધુનો ગાંજો પકડી પાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એસ.ઓ.જી દ્વારા પી.ડી.યુ. કોલેજ સહિત વિવિધ શાળાઓમાં કરવામાં આવેલા સેમિનારની વિગત પુરી પાડી હતી. જનજાગૃતિ અર્થે જાહેર માર્ગો પર એલ.ઈ.ડી. સ્ક્રીન તેમજ થિએટરમાં ફિલ્મ શો પહેલા ‘નો ડ્રગ્સ’ અવેરનેસ કેમ્પઇન ચલાવવામાં આવી રહ્યું હોવાનું ડી.સી.પી.એ જણાવ્યું હતું. આ અભિયાનમાં લોકો સહભાગી બને તે માટે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા લોકો અંગે પોલીસ વિભાગને જાણ કરવા ખાસ અપીલ કરી હતી. આ તકે પ્રાંત અધિકારી ચાંદની પરમાર, એ.સી.પી. ભરત બસિયા, એસ.ઓ.જી., ડી.સી.બી. સહિત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, સમાજ સુરક્ષા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રીહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ, સાયન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીઓ જોડાયા હતા.