- એ ડિવિઝન પોલીસમાં અરજી થતાં પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં લક્ષ્મીવાડી મેઈન રોડ પર હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતાં હિતેશભાઈ નારણભાઇ પારેખ નામના સોની વેપારીએ એ. ડિવિઝન પોલીસ મથકમાં લક્ષ્મીવાડીના શૈલેષ હરગોવિંદ પાલા સામે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ હાથીખાનામાં મેઇન રોડ પર સીલ્વર માર્કેટમાં 20 વર્ષથી સોનાના દાગીનાનો વેપાર કરે છે તેઓની દુકાનની સામે શૈલેષ પાલાની દુકાન આવેલ છે અને તે સોનાના દાગીના ખરીદ વેચાણ કરે છે ફરિયાદી શૈલેષભાઇને બે- ત્રણ મહીનાથી ઓળખે છે અને તેની સાથે અવાર-નવાર સોનાના દાગીનાનુ ખરીદ વેચાણ કરે છે.
શૈલેષ પાલાને દસ-બાર દીવસ પહેલા કટકે-કટકે 550 ગ્રામ સોનાના તૈયાર દાગીના જેમાં કાનની બાલી તથા માળા વેચવા માટે આપેલ અને જેમાથી તેમને 150 ગ્રામ સોનુ ફાઇન કટકે કટકે પરત આપેલ હતું.તેમજ બાકી રહેલ 400 ગ્રામ સોનુ લેવા માટે તેઓ ગઈકાલે બપોરના દોઢેક વાગ્યે તેઓની દુકાને ગયેલ ત્યારે તેઓએ સાંજના છએક વાગ્યાનો સમય આપેલ જેથી ફરિયાદી તેમની દુકાને પરત આવેલ અને સાંજના છએક વાગ્યે શૈલેષ પાલાની દુકાને ગયેલ તો ત્યાં અન્ય સોની વેપારી પણ હાજર હતાં.
- Advertisement -
જેઓ પણ તેમને આપેલ સોનાના દાગીના પરત લેવા માટે આવેલ હતાં જેમાં સોની પંકજભાઇ ઓધવજીભાઇ લુંભાણી 1 કરોડના 1650 ગ્રામ સોનાના દાગીના, સોની તેજસભાઇ મનોજભાઈ પારેખ 19.50 લાખના 300 ગ્રામ સોનાના દાગીના, સોની નીશીતભાઇ રાજેન્દ્રભાઇ ગીરીયા 33 લાખના 504 ગ્રામ સોનાના દાગીના, સોની કૃણાલભાઇ હસમુખભાઇ સાગરનું 10.40 લાખના 160 ગ્રામ સોનાના દાગીના તેમજ સોની મીત નરેન્દ્રભાઇ આડેસરા 8 લાખના 140 ગ્રામ સોનાના દાગીના પરત લેવા શૈલેષ પાલાની દુકાને આવેલ હતાં.
તેમજ અન્ય વેપારીએ જણાવેલ કે શૈલેષ અમારી પાસેથી સોનાના દાગીના વેચાણ કરવા માટે લઇ ગયેલ છે અને સોનુ પરત લેવા આવતાં તે મળી આવેલ ન હતો જેથી આરોપી શૈલેષ પાલા છ સોની વેપારીના સોનાના દાગીના આશરે બે કરોડના લઈ ફરાર થઇ જતાં સોની બજારમાં હડકંપ મચી ગયો હતો અને પોલીસ મથકે મોડી રાતે દોડી આવેલ વેપારીઓની અરજી પરથી એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ અને ટીમે તપાસ હાથ ધરી છે.