ગઈકાલે એક દીપડો પાંજરે પુરાયા બાદ લોકોએ વધુ એક દીપડો હોવાની દહેશત વ્યક્ત કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર પંથકમાં દીપડાના આંટાફેરા વચ્ચે ગઈકાલે સવારે એક દીપડો પાંજરે પુરાયા બાદ ગતરાત્રીના વાંકાનેર નેશનલ હાઈવે ઉપર ગારીડા ગામ નજીક અજાણ્યા વાહન હડફેટે આવી જતા દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી બે દીપડા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી હતી એવા સમયે જ વનવિભાગ દ્વારા બે દિવસ પૂર્વે દિગ્વિજયનગર ખાતે પાંજરું મુકવામાં આવતા ગઈકાલે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો ત્યારબાદ ગત મોડી રાત્રે વાંકાનેર નેશનલ હાઈવે ઉપર ગારીડા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે આવી જતા એક દીપડાનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દીપડો અંદાજે બે થી ત્રણ વર્ષનો હતો અને હવે દીપડાના પીએમ રિપોર્ટ બાદ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
વાંકાનેર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન હડફેટે દીપડાનું મોત
