પાડોશીએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપીની કરી ધરપકડ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ઋષીકેશ પાર્કમાં રહેતાં મહિલા નર્સની રાતે તેમના જ ઘરમાં હત્યા નિપજવી નાખતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં તેના મકાન પાછળ રહેતાં પડોશીએ ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું હતું હત્યા કરી ભાગે તે પૂર્વે નીચેના માળે રહેતાં દંપતિ અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો. બળજબરીનો પ્રયાસ સફળ નહિ થતાં કાનજીએ આ ખૂની ખેલ ખેલ્યાની શક્યતાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના ઋષિકેશ પાર્કમાં સુરેશભાઇ ગોઢાણીયાની માલિકીના બે માળના મકાનમાં ઉપરના ભાડે રહેતા મુળ અમદાવાદના દસ્કોઇ તાબેના કુહા ગામના વતની ચૌલાબેન પટેલની રાત્રે હત્યા થયાની જાણ 108 મારફત થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ પંડયા, એએસઆઇ હિતેષભાઇ જોગડા, હેડકોન્સ. જયંતિભાઇ, સિધ્ધરાજસિંહ તેમજ ડી. સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બનાવની જાણ થતાં ડીસીપી જગદીશ બાંગરવા પણ પહોંચી ગયા હતાં પોલીસે પંચનામુ કરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે હત્યાનો ભોગ બનેલા મહિલા રાજકોટ કેન્સર હોસ્પિટલમાં કીમોથેરાપી વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતાં હતાં. તેમની બદલી ચાર મહિના પહેલા જ અમદાવાદ સિવિલથી રાજકોટ થઇ હતી અહિ તે ભાડેથી એકલા જ રહેતાં હતાં. હત્યાનો આરોપી પડોશમાં જ રહેતો કાનજી ભીમાભાઇ વાંજાને પડોશીઓએ પુરીને રાખ્યો હોઇ પોલીસે સકંજામાં લઇ તેની પુછતાછ કરતાં તેણે એવુ રટણ કર્યુ હતું કે રાતે મને બોલાવવામાં આવતાં હું ગયો હતો અને માથાકુટ થયા બાદ મારા પર હુમલો થતાં મેં વળતો પ્રહાર કર્યો હતો. જો કે તેની આ વાત પોલીસને ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે.
હત્યાનો ભોગ બનેલા ચૌલાબેન પટેલ ભાઈ બહેનમાં નાના અને અપરિણીત હતાં પચ્ચીસ વર્ષથી અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટ બદલી થઈ હતી આગામી મહિને ફરી તેની બદલી અમદાવાદ થવાની હતી બનાવની જાણ થતાં મોટા ભાઇ શીવાંગભાઇ ત્રિભોવનદાસ પટેલ સહિતના સગા સંબંધીઓ રાજકોટ દોડી આવ્યા હતાં પોલીસે તેમના ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ આદરી હતી પતિ સાથે નીચે ભાડેથી રહેતાં નિલમબેન પિયુષભાઇ દલસાણીયાએ જણાવ્યું હતું કે રાતે લગભગ પોણા બાર આસપાસ અમે દરવાજો બંધ કરી સુવાની તૈયારી કરતાં હતાં અને એ.સી. ચાલુ કર્યુ ત્યાં જ ઉપરના માળેથી અવાજ આવવા માંડયો હતો. કોઇ પગ પછાડતું હોય તેવુ લાગતું હતુ. મેં મારા પતિને કહેતાં તેણે તપાસ કરવા અને ઉપર રહેતાં માસીને કંઇક તકલીફ હશે તેમ કહેતાં અમે બહાર નીકળ્યા હતાં અને તપાસ કરતાં પાછળના મકાનમાં રહેતો કાનજી વાંજા બહાર આવ્યો હતો, તેના હાથ-પગમાંથી લોહી નીકળતાં હોઇ તેને જોઇ પહેલા તો અમે ચોંકી ગયા હતાં. બાદમાં તેને અહિ શું કરે છે? પુછતાં તેણે-આમણે મને બોલાવ્યો હતો તેવું કહ્યું હતું. એ જ વખતે ચૌલાબેન પણ બહાર આવ્યા હતાં અને ‘આ મને મારી નાંખશે, મારી નાંખશે’ એવી બૂમો પાડી હતી. આ વખતે બીજા પડોશીઓ પણ જાગીને ભેગા થઇ ગયા હતાં. અમે ચૌલાબેન પાસે ગયા હતાં અને તેને પાણી આપતાં તેણે પાણી ગળે નહિ ઉતરે, આણે મારુ ગળુ દબાવ્યું છે તેમ કહ્યું હતું અને બેશુધ્ધ જેવા થઇ ગયા હતાં. તુરત જ કોઇએ 108 બોલાવતાં તેના ડોક્ટરે ચૌલાબેનને મૃત જાહેર કર્યા હતાં. આ વખતે કાનજીએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પણ પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો. બાદમાં પોલીસ આવી ગઇ હતી.
હત્યારો કાનજી વાંજા મુળ કોડીનારનો છે એક વર્ષથી રાજકોટ ભાડેથી રહે છે તે બે સંતાનનો પિતા છે અને છુટક કામ કરે છે. તેની પત્નિ નાના મવા રોડ પર ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે કાનજી એકતરફી પ્રેમમાં પાગલ થઇ રાતે બદઇરાદે નર્સના ઘરમાં ઘુસી ગયાની શક્યતાએ પોલીસે તેની વિશેષ પુછતાછ યથાવત રાખી છે.