રોડના કામમાં ડાયવર્ઝન બાબતની રજૂઆતને મનદુ:ખ રાખી ફાયરિંગ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર ફાયરિંગ જેવી ઘટનાઓ બનતા હવે ગંભીર ગુન્હાઓ સામાન્ય બનતા જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં છાસવારે બનતી ફાયરિંગમાં ઘટનાઓને લઈને જિલ્લો બદનામ થઈ ચૂક્યો છે જેમાં વધુ એક લખતર ખાતે ફાયરિંગમાં ઘટના સામે આવી છે. લખતર ખાતે ખાનગી ગેસ્ટ હાઉસ સંચાલક દ્વારા રોડના કામમાં ડાયવર્ઝન કાઢવા જેવી બાબતે કોન્ટ્રાકટર દ્વારા મનદુ:ખ રાખી બે શખ્સો દ્વારા ગેસ્ટ હાઉસ ખાતે જઈ સંચાલક પર ફાયરિંગ કરી ઈજા પહોચાડી નાશી છૂટ્યો હતા. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ તપાસ આદરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર લખતર શહેરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા ભરતસિંહ પ્રતાપસિંહ પરમાર દ્વારા બે દિવસ અગાઉ પોતાના શહેરો વિસ્તારમાં થતાં સીસી રોડના કામમાં ડાયવર્ઝન નહિ આપવા બાબતે રોડ નિર્માણની કામગીરી કરતા કોન્ટ્રાકટરને રજૂઆત કરી હતી જે અંગે કોન્ટ્રાકટર ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા દ્વારા ફોનમાં માથાકુટ કરી હતી
- Advertisement -
જે બાદ 30 નવેમ્બરના રાત્રે જ્યારે ભરતસિંહ પરમાર પોતાના ખાનગી ગેસ્ટ હાઉસ ખાતે હાજર હોય ત્યારે અચાનક બે શખ્સો આવી જઈ પોતાની પાસેથી હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ કરી સંચાલકને ઈજા પહોચાડી ત્યાંથી નાશી ગયો હતો જ્યારે ફાયરિંગ દરમિયાન સંચાલકને હાથના ભાગે ઈજા પામતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ તરફ પોલીસને ફાયરિંગ થયાની જાણ થતાં જ જિલ્લાની પોલીસ પણ લખતર ખાતે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ફાયરિંગ કરનાર એક અજાણ્યા ઈસમ સહિત અજયસિંહ બળવંતસિંહ રાણા તથા ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા વિરૂદ્ધ ગુન્હો નોંધી ત્રણેય ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.