કથામૃત: ઉત્તરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો એકવાર તેના અમીર મિત્ર સાથે રમવા માટે મિત્રના ઘેર ગયો. મિત્રના પિતાએ ગોવિંદ જેવા સામાન્ય છોકરાને પોતાના ઘરમાં જોયો અને એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મૂકવાની ? તું મારા ઘરમાં આવી જ કઇ રીતે શકે ? આવા તો કેટલાય પ્રશ્નોની ઝડી વરસી. શાળામાં ભણતો ગોવિંદ તો ડઘાઇ જ ગયો. ગોવિંદને એ સમજ નહોતી પડતી કે, એનો એવો તે શું વાંક હતો કે મિત્રના પપ્પા એને ખૂબ બોલ્યા. આ વાત તેણે તેના એક શિક્ષકને કરી, ત્યારે શિક્ષકે કહ્યું, બેટા તારી સાથે આવું વર્તન એટલા માટે થયું કારણ કે, તારા પિતાની આર્થિક અને સામાજિક સ્થિતિ પછાત છે. ગોવિંદના પિતા સાઇકલ રિક્ષા ચલાવીને પાંચ સભ્યોના પરિવારનું માંડ માંડ ભરણ પોષણ કરતા હતા. ગોવિંદે એના શિક્ષકને પૂછ્યું, આ બધાં મારો તિરસ્કાર કરવાને બદલે આદર કરે એવો કોઈ રસ્તો ખરો ? ત્યારે પેલા શિક્ષકે કહ્યું, તું જ્ઞાન સંપાદન કરીને એ જ્ઞાન દ્વારા તારી જાતને કોઈ પ્રતિષ્ઠાવાળી પોસ્ટ પર પ્રસ્થાપિત કર તો એ તારા કુળને ભૂલીને તારો આદર કરે.
ગોવિંદે ફરી કહ્યું, સર, એવી પ્રતિષ્ઠાવાળી પોસ્ટ કઇ ? ત્યારે શિક્ષકે મજાકમાં કહ્યું, બેટા આઇ.એ.એસ. બની જા. દેશની આ સૌથી ઊંચામાં ઊંચી સરકારી નોકરી છે. ગોવિંદે તે દિવસે આઇ.એ.એસ. બનવાનો સંકલ્પ કર્યો. એને ખબર પણ નહોતી કે આઇ.એ.એસ. શું છે ! એણે ખૂબ મહેનત કરી. દિવસરાત જોયા વગર મહેનત કરી. લોકો એને ગાંડો પણ કહેતા. બધાં જ એવું કહેતા કે આઇ.એ.એસ. ન થઈ શકાય. ગોવિંદે અત્યંત કપરા દિવસો જોયા, પણ પોતાના ધ્યેયથી ચલિત ન થયો. અરે ! કેટલોક સમય તો એવો પસાર થયો કે બે વખતની ચા પીવાના પૈસા પણ ન હોય. વર્ષમાં માત્ર એક જોડી કપડાં મળે. તો પણ હાર્યા વગર મંજિલ તરફની ગતિ ચાલુ જ રાખી. ગોવિંદે યુપીએસસીની પરિક્ષા આપી. અરે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો, પણ ઇન્ટરવ્યૂમાં પહેરવા માટે સારા કપડાં પણ નહોતા. પરણીને સાસરે ગયેલી મોટી બહેને થોડી મદદ કરી અને એમાથી ઇન્ટરવ્યૂમાં પહેરવા માટેના એક જોડી કપડાં અને બૂટ લીધા. અત્યંત ગરીબ પરિવારનો આ છોકરો – ગોવિંદ જયસ્વાલ – આજે આઇ.એ.એસ. ઓફિસર છે !
- Advertisement -
અર્થામૃત:
વિદ્યાહીન કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું ? વિદ્વાન નીચા ગણાતા કુળમાં જન્મે તો પણ દેવતાઓ તેની પૂજા કરે છે.
બોધામૃત:
- Advertisement -
જીવનમા ધ્યેય નક્કી હશે અને એને પ્રાપ્ત કરવાની ઝંખના રગે રગમાં વહેતી હશે, તો ગોવિંદે જે કરીને બતાવ્યું; તે આપણે પણ કરી શકીશું.
અનુભવામૃત: