જૂનાગઢ સિવિલમાં બે કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન
બોલી કે સાંભળી ન શકતો હોવાથી યુવકે પોતાની પીડા કોઇને કહી ના શક્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાના મલોંઢા ગામના માનસિક યુવાનને પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યા તેમને આઇસીયુમાં દાખલ કરી સીટી સ્કેન રીપોર્ટ કરતા જઠર અને આંતરડામાં કાંણુ હોવાનું જણાતા તેમને ઓપરેશનમાં લઇ જવામાં આવ્યા હતા. ઓપરેશનમાં લઇ ગયા બાદ માનસિક યુવાન પેટના જઠરમાંથી 62 લાકડાની સળી, 2 મહેંદીના કોન અને 15 પ્લાસ્ટીકની સ્ટ્રો નીકાળવામાં આવી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને તેમની ટીમના 2 કલાકની મહેનત બાદ માનસિક યુવાનની સફળ સર્જરી કરી સ્વસ્થ્ય થતા રજા આપી દેવામાં આવી છે.જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.એસ. સર્જન ડો.મિનેષ સિંધલે જણાવ્યું હતું કે, તો24/7/2022ના રોજ વેરાવળ તાલુકાના મલોંઢા ગામેથી અરજણભાઇ ભીખાભાઇ ચાંડપા(ઉ.વ.40)ને પેટમાં અસહ્ય દુ:ખાવો હોવાથી સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા. યુવાન માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર કરવી કઠીન હતી. પરંતુ તેમને સાથે તેમની સાથેના સગાને સમજાવી યુવાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં યુવાનના જઠર અને આંતરડામાં કાંણુ પડ્યુ હોવાથી માલુમ પડતા તેમને ઓપરેશન માટે જણાવ્યું હતું અને બાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ અને આરએમઓ જી.ટી.સોલંકીના માર્ગદર્શન મુજબ એક ટીમ તૈયાર કરી હતી. બાદમાં તા.27/7/2022ના ઓપરેશનનું નક્કી થયું હતું. ઓપરેશન કરતી વખતે ધ્યાનમાં આવ્યું કે, યુવાનના પેટમાં ઘણા અખાદ્ય પદાર્થ છે. જેવા કે, કુલ્ફીની સળી, પ્લાસ્ટીકની સ્ટ્રો અને મહેંદીના કોન સહિતની વસ્તુઓ જોવા મળતા તેમને જઠરમાંથી નીકાળી ટાંકા લઇ જઠર બંધ કરી સફળ સર્જરી કરવામાં આવી હતી. 2 કલાકની મહેનત બાદ સફળ સર્જરી થઇ હતી. બાદમાં સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી હતી. માનસિક યુવાનના પેટમાં જે 62 લાકડાની સળી, 2 મહેંદીના કોન અને 15 પ્લાસ્ટીકની સ્ટ્રો નીકાળવામાં આવી હતી. તે જોતા ડોક્ટરે જણાવ્યું હતું કે, આ 2 થી 3 વર્ષથી વધુના સમય સુધી પેટમાં હોવાથી કહી શકાય. કારણ કે, તે બધી વસ્તુ એકદમ કાંટ લાગી ગઇ હોય તેવી રીતે જામી ગઇ હતી.