ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદ પુરુષોતમભાઈ રૂપાલા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવી 7 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.મહાનુભાવોના હસ્તે લોકાર્પિત થયેલી 7 બસથી 16 ટ્રીપ અને 4046.18 કિલોમીટરનું દૈનિક સંચાલન થવા પામશે. આ બસનું રાજકોટથી ભાવનગરનું ભાડું રૂ. 304 (વાયા : સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર), રાજકોટથી ઉનાનું ભાડું રૂ. 544 (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર) અને રાજકોટથી દીવનું ભાડું રૂ. 579 (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના) છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર જનતાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુસર એસ.ટી. નિગમ દ્વારા 100 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસ મુસાફરોની સેવામાં મૂકવાનું આયોજન છે, જે પૈકી હાલમાં 7 બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં અન્ય 25-30 જેટલી એ.સી. બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવશે.
રાજકોટથી દીવ સહિતની 7 AC બસ શરૂ કરાઈ: MP-MLAએ લીલીઝંડી આપી



