સરકાર-વીમા કંપનીના અધિકારીઓનું વલણ બેજવાબદાર : અડધો અડધ જેટલી રકમ તો એક-બે વર્ષથી બાકીક્ષ સરકાર અને વીમા કંપનીના અધિકારીઓ હોસ્પિટલોને ચુકવણી કરવામાં નિરસતા
ખાસ-ખબર સંવાદદાતા
સરકારની પીએમજેએવાય – મા યોજનામાં ગુજરાતની હોસ્પિટલોના લગભગ રૂ. 650 કરોડ સલવાયા છે, રાજ્યમાં 750થી વધુ ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલો આયુષ્યમાન યોજનામાં દર્દીઓને સેવા પૂરી પાડે છે, હોસ્પિટલોના બાકી લેણાં મામલે વીમા કંપનીઓ-મા યોજના સાથેના સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરાઈ છે પણ હજુ સુધી નિવેડો આવ્યો નથી, ચોંકાવનારી બાબત તો એ છે કે, 650 કરોડમાંથી અડધો અડધ જેટલી રકમ તો છેલ્લા એક બે વર્ષથી બાકી બોલે છે. આ સંદર્ભે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના) અને ગુજરાતની હોસ્પિટલોના પ્રતિનિધિઓએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ જલદી ચુકવણી માટે રજૂઆતો કરી છે.
- Advertisement -
હોસ્પિટલોને 650 કરોડથી વધુની રકમ તાકીદે ચુકવાય તેવી માગણી સાથે આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવી અને ડો. વીરેન શાહે જણાવ્યું હતું કે, અડધો અડધ જેટલી રકમ તો એક બે વર્ષથી બાકી બોલે છે, જેના કારણે કેટલીક હોસ્પિટલો આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી મા – પીએમજેએવાય યોજનામાં વીમા કંપનીઓને સામેલ કરાઈ ત્યારથી વીમા કંપનીઓને પીએમજેએવાયની ચુકવણી અનિયમિત છે. આ સંદર્ભે આરોગ્ય મંત્રીએ તાત્કાલિક પગલાં ભરવાની બાંયધરી આપી હતી. તબીબોએ આક્ષેપ કર્યો હતો કે, સરકારની આ લોકપ્રિય યોજનામાં કેટલાક સરકારી અધિકારીઓને યોજના ચાલુ રહે તેમાં રસ નથી, સરકાર અને વીમા કંપનીના અધિકારીઓ હોસ્પિટલોને ચુકવણી કરવામાં રસ ધરાવતા નથી.