લોકોને સાવચેત રહેવા આરોગ્યમંત્રીની અપીલ : રિપોર્ટની રાહ: ગભરાવાની જરૂર નથી: 6દર્દી સારવારમાં: ઉત્તર-મધ્ય ગુજરાતમાં દર વર્ષે કેસ આવે છે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.16
- Advertisement -
રાજયમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરલ એનપેફેલાઈટીલના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દી હાલ સારવાર હેઠળ છે. આ રોગના સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામાં એક એક શંકાસ્પદ કેસ ઉપરાંત આ રોગની ગુજરાતમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના બે દર્દી અને મધ્યપ્રદેશના એક દર્દી મળીને કુલ 12 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે.
આ તમામ દર્દીઓના સેમ્પલ લઈને પૂણેની લેબમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેનું પરિણામ સરેરાશ 12થી 15 દિવસમાં આવશે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજયમાં નોંધાયા છે. પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી. આમ છતાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં તેના સઘન સર્વેલન્સની પ્રાથમિક તબકકે જ સૂચના અપાઈ હતી. જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18,646 વ્યકિતનું સ્ક્રીનિંગ કરાયું છે. સેન્ડફલાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજયના નાગરિકોને આ રોગથી ગભરાવવું નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખવી જરૂરી છે. મગજના તાવ (સીએચપીવી)નો રોગચાળો તાવના લક્ષણો સાથે વર્ષ 1965માં મહારાષ્ટ્ર રાજયના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજયોમાં પણ આ રોગચાળો નોંધાયો હતો. આ વાયરસ જીન્સ વેસિકયુલોવાયરસ કુટુંબને અનુસરે છે. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે, ખાસ કરીને ઉત્તર-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કેસ નોંધાયા છે.
ચાંદીપુરા વાયરસ રોગના લક્ષણો
- Advertisement -
સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર-અસરગ્રસ્ત સેન્ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઈગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ રોગના લક્ષણો છે.