ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કબ્જો લીધો : નવા ખુલાસા થવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આયુષ્માન કાર્ડ કાઢવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને મેટ્રોકોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મનિષ ચૌહાણે આરોપીના 6 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. બીજી તરફ આરોપીએ કૌભાંડ દ્વારા મોટો આર્થિક લાભ મેળવ્યા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ બોગસ ઙખ-ઉંઅઢ કાર્ડ કાઢવાનું તે જ હોસ્પિટલનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અલગ ફરિયાદ નોંધી હતી. તે કેસમાં ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જ્યાં સરકારી વકીલ વાય. કે.વ્યાસે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીએ કેટલાક દર્દીઓના કાર્ડનિમેષ ડોડિયા પાસે બનાવ્યા હતા તે કાર્ડ બનાવ્યા બાદ દર્દીને કયા 5 પ્રકારની સારવાર અપાઈ હતી?
સારવાર બાદ કેટલા પૈસાનો ક્લેઈમ પાસ કરાવ્યો? નિમેષ ડોડિયા વર્ષ 2022થી 2024 દરમિયાન કેટલાક રૂપિયાની ચૂકવણી બેંક કે રોકડ દ્વારા કરાઈ છે? ચૂકવણી અંગે કોઈ નોંધ કરાઈ છે કે નહીં, સમગ્ર કૌભાંડ જોતા ઙખ-ઉંઅઢ યોજનાના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં?
ખ્યાતિ હોસ્પિટલ ગેરકાયદે રીતે આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં કઈ રીતે સંડોવાયેલી છે? આયુષ્માન કાર્ડ કાઢવા માટે વોટ્સએપ અને ટેલિગ્રામમાં ગ્રૂપ ચાલતું હતું તેમાં કાર્તિક હતો કે નહીં?
આવા ગ્રૂપ કોણ ચલાવતું હતું અને તેમાં કોની સંડોવણી છે? આરોપીઓએ સુઆયોજિત કાવતરું રચી આર્થિક કૌભાંડ આચર્યું છે કૌભાંડ દ્વારા કેટલા પૈસા આરોપીએ મેળવ્યા? સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીના 14 દિવસના રિમાન્ડની જરૂર છે. આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તપાસમાં સહકાર આપ્યો છે, જે જાણતા હતા તે જણાવી દીધું છે. પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીની હાજરીની કોઈ જ જરૂર નથી તેથી રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.