ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલે રવિવાર અને 15મી ડીસેમ્બરે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના ઘડવૈયા – મહાન લોકશાહીના સર્જક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 74મી પુણ્યતિથિ છે. આ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની શબ્દવંદના કરતા સૌરાષ્ટ્ર- ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, સરદાર પટેલની પુણ્યતિથિ પર તેમની પ્રેરણાદાયી રાષ્ટ્ર સેવાનું સ્મરણ કરીએ છીએ. દેશની એકતા અને અખંડિતતાનું સર્જન અને રક્ષણ માટેના દૂરંદેશીભર્યા આયોજનના કારણે કરોડો ભારતવાસીઓ સાથેનું ભારત આજે વિશ્વની સામે અડીખમ અને અડગ બની ઉભું છે. 563 દેશી રજવાડાઓ સાથે સમજૂતી અને વિલીનીકરણ થયા છે તે એકમાત્ર સરદાર પટેલને કારણે થયા છે. શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ તથા દેશવાસીઓમાં સર્વોત્તમ રાષ્ટ્રભક્તિ જાગૃત કરવા માટે તેમના વિચારો અમર છે જે હંમેશા દેશને માર્ગદર્શન આપશે. ભારતવાસીઓ તેમની રાષ્ટ્રસેવા, વહીવટી કુશળતા અને રાષ્ટ્રને એક કરવા માટેના અથાક પ્રયાસો માટે હંમેશા આભારી રહેશે.
- Advertisement -
સરદાર વલ્લભભાઈ પટેલ દેશના મોખરાના ટોચના સ્વાતંત્ર્ય સેનાનીઓમાં શિરમોર હતા, જેમણે ભારતને આઝાદી અપાવવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સ્વતંત્રતા પછી સરદાર પટેલે કોઈપણ યુદ્ધ વિના 563 દેશી રજવાડાઓને ભારતમાં ભેળવી દીધા હતા. આ જ કારણ છે કે લોકો તેમને ’લોહપુરુષ’ કહે છે. સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. જો કે હવે સરદાર પટેલના અધૂરા કાર્યો અને સપનાના એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારને યથોચિત્ત સર્વોત્તમ સન્માન આપવાના સ્તુત્ય નમ્ર પ્રયત્નો કર્યા છે.