બિહારમાં રેડ એલર્ટ: મધ્યપ્રદેશ સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે. યુપીમાં પૂર-વરસાદ સંબંધિત અકસ્માતોમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ છે. NDRF અને SDRFની ટીમ પીલીભીત અને લખીમપુર ખીરીમાં બચાવ કાર્યમાં વ્યસ્ત છે. બિહારમાં વીજળી પડવાથી 21 અને ઝારખંડમાં 3 લોકોના મોત થયા છે. IMD એ ગુરુવારે (11 જુલાઈ) બિહારમાં ભારે વરસાદ અને વીજળી મામલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓ વહેતી થઇ છે. ગોપાલગંજ, પશ્ર્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે.
- Advertisement -
હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં યલો એલર્ટ છે. હિમાચલ પ્રદેશમાં 2 અઠવાડિયામાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 22 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારના એક અધિકારીએ બુધવારે (10 જુલાઈ) જણાવ્યું હતું કે ચોમાસું 27 જૂને રાજ્યમાં પહોંચ્યું હતું. ત્યારપછી ભારે વરસાદના કારણે સરકારને 172 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરના જણાવ્યા અનુસાર મંડી જિલ્લાના 5 , સિમલાના 4 અને કાંગડાના 3 મુખ્ય માર્ગો ભૂસ્ખલનના કાટમાળને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં વધુ વરસાદ પડશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનમાં 223.37 મિમી વરસાદ નોંધાયો છે. જે રાજ્યના સરેરાશ વાર્ષિક વરસાદના 25.30 ટકા છે. રાજ્યના 24 તાલુકાઓમાં 501 મિમી થી 1000 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.
જળાશયોના જળસ્તરમાં વધારો થયો: સેન્ટ્રલ વોટર કમિશન
સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું છે કે દેશનાં જળાશયોના જળસ્તરમાં ગયા વર્ષે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત વધારો થયો છે. ઈઠઈ, જે ભારતનાં 150 જળાશયો પર નજર રાખે છે, તેણે 4 જુલાઈએ નવી માહિતી શેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે પાણીના સ્તરમાં કુલ 2 ટકાનો વધારો થયો છે. જો કે, ઈઠઈએ કહ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ જળાશયોના કુલ સંગ્રહ સ્તરમાં ઘટાડો થયો છે. હાલમાં 2 ટકાના વધારાના જે આંકડા બહાર આવ્યા છે તે વર્તમાન સંગ્રહ સ્તરની સરખામણીમાં જોવામાં આવેલા આંકડા છે. જો આજના પાણીના સ્તરને ગયા વર્ષના સંગ્રહ સ્તરથી માપવામાં આવે તો તે ઓછું હશે.