સુવર્ણ જયંતિને અનુલક્ષીને સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં ત્રણ દિવસ ષોડશોપચાર પૂજન આરતી થયા: હજારો ભાવિકો ઉમટી પડ્યા
દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે સેવાભાવી અમિત રાઠોડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવની 100મી વરણાંગી નીકળી હતી. જેમાં રાજકોટનાં માંધાતાસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને ખાસ પૂજા-અર્ચના કરી હતી. વરણાંગીમાં હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો. આ તકે લોકસેવાને વરેલા અમિત રાઠોડ (ખખ) દ્વારા હેલિકોપ્ટર દ્વારા રામનાથ મહાદેવ ઉપર 555 કિલો પુષ્પો વર્ષાવી વર્ણાંગીને વધાવવામાં આવી હતી. આ વરણાંગી રામનાથપરા રોડ કોઠારીયા નાકા સોનીબજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, જયરાજપ્લોટ, હાથીખાનાથી શ્રી રામનાથ મહાદેવના મંદિરે પરત ફરી હતી. આ વરણાંગીની શરૂઆત આજથી સો વર્ષ પહેલા થઈ હતી.
સો વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નિકળ્યો હતો. આ રોગથી રાજકોટ વાસીઓને બચાવવા ત્યારના રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી. કે જો રાજકોટ શહેર પ્લેગ રોગથી બચી જશે તો તે રામનાથ મહાદેવની વરણાંગી શહેરમાં ફેરવશે. જે-તે સમયે રાજકોટનાં લોકો પ્લેગ મુક્ત થયા હતા. ત્યારથી દર વર્ષે ભગવાન રામનાથ મહાદેવની વરણાંગી કાઢવામાં આવે છે. આ ખતરનાક રોગથી મહાદેવે રાજકોટની રક્ષા કરી ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ત્યારે દર વર્ષે શ્રાવણ મહિનામાં અમિત રાઠોડ, બ્લડ કેમ્પ ચલાવે છે આ સિવાય તેઓ અનેકવિધ સેવાઓ પણ આપી રહ્યા છે.
- Advertisement -
અમિત રાઠોડ દ્વારા 17 વર્ષથી ચાલતી અનોખી સેવા
સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે ત્યાં શ્રાવણ માસ તો ઠીક પરંતુ રોજબરોજ લોકો દર્શનાર્થે આવતા હોય છે આ લોકોને અસુવિધા ન થાય તે માટે અમિત રાઠોડ છેલ્લા 17 વર્ષોથી અનોખી સેવા કરે છે ટ્રાફિક ન થાય તે માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, મંદિરમાં લગાવવામાં આવતી લાઈટિંગ, ડેકોરેશન, ચપ્પલ ઉતારવા માટેની વ્યવસ્થાનું આયોજન કરે છે.