અમદાવાદ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ બી.પટેલ અને સભ્યો દ્વારા જગતજનની મા અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરવામાં આવશે.
ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાંથી વર્ષે દહાડે જ્યાં શ્રદ્ધાળુઓ માં અંબાને શીશ ઝુકાવવા આવે છે તે સુપ્રસિધ્ધ અંબાજી યાત્રાધામમાં 12મી થી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં મોટી સંખ્યમાં ભવિકભક્તો ભાગ લેશે. આ તરફ હવે અમદાવાદ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ બી.પટેલ અને સભ્યો દ્વારા જગતજનની મા અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરવામાં આવશે. મહત્વનું છે કે, 51 શક્તિપીઠ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર મા અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ભવ્ય ચામરયાત્રા પણ યોજાશે.
- Advertisement -
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ યાત્રાધામ અંબાજીમાં 12મી થી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, જય ભોલે ગ્રુપ અમદાવાદના ફાઉન્ડર દીપેશભાઈ અને સભ્યો દ્વારા તાજેતરમાં આદ્યશક્તિ મા અંબાને સુવર્ણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. જોકે તે સમયે તેમણે ચામરમાં રસ પડ્યો હતો અને મા અંબાને ચામર ચડાવવાનું મનમાં નક્કી કર્યું હતું.
ચામર શેમાંથી બને છે ?
શિવમહાપુરાણ કથા મુજબ સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી. આ તરફ માં જગદંબાની વિશેષ કૃપા અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના સહયોગથી જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાજીની ચામર અંગે એક રીસર્ચની શરૂઆત થઈ હતી. જેમાં જાણવા મળેલ કે, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સફેદ ચમરી ગાયની પુંછડીના વાળમાંથી બને છે અને ચમરી ગાયનો વસવાટ અને ઉત્પતિ હિમાલય પર્વત ઉપર અરુણાચાલ પ્રદેશ અને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળે છે.
જય ભોલે ગ્રુપ પહોંચ્યું હતું લેહ
આ તરફ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો લેહથી 200 કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા જાણવા મળેલ કે આવી 45 હજાર ગાય છે. તેમાંથી ફક્ત 8 ગાય સફેદ છે. સફેદ ગાયમાં પણ જે નર નથી અને માદા પણ નથી એવી ગાયના પૂંછડામાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત 2 ગાય જ મળવાપાત્ર છે. ત્યારે દીપેશભાઈ અને તેમના મિત્રોની મુંઝવણ વધી ગઈ, પરંતુ મા અંબાના આશીર્વાદ અને તેમના મક્કમ નિર્ધારથી તેમનો મનોરથ પૂર્ણ થયો હતો અને હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળ પુરા માન અને સન્માન સાથે લાવ્યા હતા.
- Advertisement -
અગ્નિપુરાણ મુજબ ચામર બનાવાઇ
આ તરફ દીપેશભાઈ અને તેમની ટીમ દ્વારા અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ 8, 16 અને 32 ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. 51 શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ અલૈાકિક ચામરયાત્રામાં શ્રદ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
51 શક્તિપીઠ પરિક્રમા સ્થળ ખાતે ચામર યાત્રા યોજાશે
જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવી રહેલી ચામર પ્રસંગે 51 શક્તિપીઠ પરિક્રમા સ્થળ ખાતે ચામર યાત્રા યોજાઈ રહી છે. જેમાં મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર, કલોલની પ્રજ્ઞાચક્ષુ અને માનસિક શારીરિક વિકલાંગ દીકરીઓ દ્વારા માતાજીની મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. દીપેશભાઈ પટેલ દ્વારા માતાજીના અંગ, શક્તિ, ભૈરવ અને સ્થળ પર રચિત અદભૂત આરતી અને સ્તુતિની પણ આ દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.