ખાસ-ખબર સંવાદદાતા
જરૂરીયાતમંદ અને ગરીબ પરીવારો માટે દેવદુત સમાન બનતી પી.એમ.જે.વાય યોજના હેઠળ દસ લાખ રૂપિયા સુધી નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા અને પાત્રતા ધરાવતા કોઈપણ વ્યક્તિ આ યોજનાથી વંચિત ન રહે તે માટે પી.એમ.જે.વાય યોજનાના નોડલ અધિકારી ડો. મહેન્દ્ર ચાવડાના નેતૃત્વ હેઠળ નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે. જયારે રાજકોટ જીલ્લામાં 13,33,528 આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરાયા હોવાનું તબીબી અધિક્ષક આર.એસ ત્રિવેદી જણાવે છે. ડો. મહેન્દ્ર ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, દરેક નાગરીક પી.એમ.જે.વાય યોજના હેઠળ મલેરિયા, ટાઈફોઈડથી લઈને કેન્સર, હ્રદયરોગ જેવી ગંભીર બીમારીઓની નિ:શુલ્ક સારવાર મેળવે તે માટે અમે પૂર્ણ સજ્જતા સાથે કામ કરી રહ્યા છીએ.
સવારના 8 થી રાતના 8 એમ બે શિફ્ટમાં નોડલ ઓફિસર તરીકે ડો. અલ્પાબેન જેઠવા અને ડો. હર્ષાબેન પટેલ, બે આરોગ્ય મિત્ર ડો. ઉપાસના વાઘેલા, ડો. અંજલી કરમટા અને 12 ઓપરેટરો આયુષ્માન કાર્ડની કામગીરી કરી રહ્યા છે. ચાલી ન શકનાર દર્દીઓ માટે 3 ઓપરેટરો દ્વારા લેપટોપની સુવિધા સાથે તેમને દાખલ કરાયેલ વોર્ડમાં જઈને પી.એમ.જે.વાય કાર્ડ કાઢી આપવામાં આવે છે. સંસ્થા ખાતે કાર્યરત કરાયેલા હેલ્પ ડેસ્ક ખાતે દર્દી અને દર્દીના સગા-વ્હાલાઓને પી.એમ.જે.વાય કાર્ડ કઢાવવા, દાખલ થવા અને ડિસ્ચાર્જ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.
આશરે રોજ 100 જેટલા પી.એમ.જે.વાય કાર્ડનું રજિસ્ટ્રેશન અને રિન્યુઅલની કામગીરી થાય છે. વર્ષ 2022-23માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂપિયા 7.18 કરોડના ખર્ચે પાંચ હજારથી વધુ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. જ્યારે એપ્રિલ 2023 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં રૂ. 5.65 કરોડના ખર્ચે 3 હજારથી વધુ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી હતી.
PMJAY યોજના હેઠળ રૂ.7.18 કરોડની નિશુલ્ક સારવાર મેળવતા 5000 દર્દીઓ
