ભાવનગરમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ભાવનગરમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો છે. ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડમાં ઈકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા છે. જેમની શોધખોળ કરાઇ રહી છે. જ્યારે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.
- Advertisement -
રાજુલામાં 8 ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ભરમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લિલિયા, ધારી, બગસરા, વડિયા સહિત અનેક તાલુકા સહિત ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. રાજુલા પંથકમાં ગત મોડી રાતથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. અને વહેલી સવારથી જ ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, સાંજણાવાવ, રાભડા, કુંભારીયા, દેવકા, નવી-જુની માંડરડી, છતડીયા વાવેરા, ધારેશ્ર્વર, બર્બટાણા, ખારી, ખેરાળી, છાપરી સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજુલા પંથકમાં અનરાધાર મેઘસવારી, નદીઓમાં ઘોડાપૂર: ગામમાં પાણી ઘૂસ્યા
- Advertisement -
રાજુલા પંથકમાં ચોમાસાની પ્રથમ ઋતુનો અવિરત વરસાદ પડયો હતો. જોકે અતિ ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયાં હતાં. જેથી ભારે નુકસાન થયું હતું. ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ નો માહોલ સર્જાયો હતો. અતિભારે વરસાદને કારણે રાજુલાના મોરંગી ગામની રામતલિયા નદી ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદથી ઘોડાપૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ સાંજણાવાવ ગામે સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. અને વરસાદી પાણી ગામમાં ભરાયા હતાં. બીજી તરફ રાજુલાના દેવકા ગામે આવેલ જોલાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અને નદીમાં માલધારી પરિવારના 15 જેટલા બકરા નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અને સ્થાનિકોએ 10 બકરીઓને બચાવી લેવાઇ હતી. રાજુલા પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ અનરાધાર મેઘસવારી વરસી હતી. જોકે ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક કોઝવે ધોવાઇ ગયા હતા. અને પાણી આવતા ઘણા રસ્તાઓ પણ બંધ થયા હતા. તેમજ અનેક ગામોમાં પાણી ઘુસી ગયા હતા. રાજુલા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. આ બાબતે ખેડૂત આગેવાન રમેશભાઇ વસોયાએ જણાવ્યું હતું કે, ચોમાસાના પ્રથમ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. અને આજે સવારથી જ વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ થયાં હતાં. જોકે બપોર બાદ ભારે વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે હાલ ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ખેતરો વરસાદી પાણીમાં તરબોળ થયાં હતાં.
મહુવાના તલગાજરડામાં પાણીમાં ફસાયેલા 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા
ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને જેસર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના લીધે મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં પાણી ફરી વળ્યાં હતા. આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફત ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી આશરો લીધેલ મકાનમાં પણ પાણીનું સ્તર વધ્યું હતું. આ ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ, મહુવા પ્રાંત અધિકારી ધવલ રવૈયા, મામલતદાર અને સ્થાનિક લોકો સહિતના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈને પાણીમાં ફસાયેલ તમામ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.
કાલે ક્યા-ક્યા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
કાલે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેથી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
બોટાદમાં રસ્તાઓ બંધ, વાહનોની કતારો લાગી
બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ બંધ. શહેરનાં ભાવનગર રોડ, ગઢડા રોડ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે. જેથી વાહનોની કતારો લાગી છે.
પાલીતાણા તાલુકાના ત્રણ ગામમાંથી 31 લોકોને રેસ્ક્યુ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારે વરસાદના કારણે પાલીતાણા તાલુકાના ત્રણ અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થઇ હતી જેમાં કુલ 31 જેટલા લોકોને તંત્ર દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જે અન્વયે સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. આ રેસ્ક્યુ કામગીરીમાં સેંજળીયા ગામે મામલતદાર, મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારી તેમજ આકોલાળી ગામે રૂરલ પી.આઈ દ્વારા ઓપરેશન લીડ કરવામાં આવ્યુ હતું. આ કામગીરીમાં રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા તથા ફાયર વિભાગ, આગેવાનો, ગામ લોકો તથા ખાનગી વાહન માલિકો રત્નાભાઈ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ સૌથી મોટી ભૂમિકા સિંચાઈ વિભાગના આશિષભાઈ બાલધીયા દ્વારા જરૂર જણાય ત્યાં ડેમના પાણીનું સ્તર ઘટાડીને કે દરવાજા બંધ કરીને પણ પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. આમ, આખી રાત પાલીતાણા તાલુકામાં અલગ અલગ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.