રાજ્યમાં યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો
ઑકટોબરથી ડીસેમ્બરના વીજ વપરાશ પર લાભ, 9 મહિનામાં બીજીવાર થયો ઘટાડો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
‘સુશાસન દિવસ’ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ, આજે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
ઉદાહરણથી સમજીએ તો જો 100 યુનિટનો વપરાશ હોય અને તેના પર હાલનો ફ્યુઅલ સરચાર્જ 2.85 ગણીએ તો તે 285 રૂપિયા થાય છે. પરંતુ હવે તેમાં 40 પૈસાનો ઘટાડો થવાથી ફ્યુઅલ સરચાર્જ 2.45 થાય છે. જેથી 245 ફ્યુઅલ સરચાર્જ થાય. આમ 100 યુનિટે 40 રૂપિયાની બચત થશે. આ પહેલા માર્ચ 2024માં ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. તે સમયે ફ્યુઅલ સરચાર્જ 3.35 હતો જે ઘટીને 2.85 થયો હતો. હવે તેમાં પણ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ 9 મહિનામાં 90 પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટતા હવે 100 યુનિટ વીજળીએ 90 રૂપિયા બચશે.
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરી ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ.1120 કરોડનો લાભ થશે. ઊર્જા મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી. ઓકટોબર-2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે.
રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 1/10/2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે. તેમણે ઉમેર્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ. 1120 કરોડનો લાભ થશે.