જૂનાગઢ કલેક્ટર દ્વારા સરકારી અનાજ ગેરકાયદે વેપલો કરનાર તત્વો સામે તવાઈ
17,492 કિલો ઘઉં અને 4000 કિલો ચોખા સાથે બે પિક-અપ વાહન સીઝ
આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં વ્યાપકપણે દરોડા પાડવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લા અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલ કે, કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે. ત્યારે કલેકટર દ્વારા આવા વધુને વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવા સુચના કરવામાં આવેલ. તે સબબ નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ ચરણસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર લલીત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરી શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવા અંગે માહિતી મળેલ હતી. આથી, બાતમીદારોને સાથે રાખીને મોડી સાંજે પ્રાંત અધિકારી જૂનાગઢના નેતૃત્વ હેઠળની પ્રાંત કચેરી, ગ્રામ્ય મામલતદાર તથા શહેર મામલતદાર કચેરીના સ્ટાફની ટીમો બનાવી બિલખા ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી વ્યાપક દરોડા હાથ ધર્યા હતા.
આ દરમ્યાન બે મોટા સરકારી અનાજનો જથ્થો ધરાવતાં ગોડાઉન પકડી પાડયા હતા. તેઓને સદરહુ અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કરી શકેલ નહી અને ફેરીવાળાનું એકત્ર કરેલ સરકારી અનાજ હોવા બાબતે કબૂલાત આપેલ હતી. જે પૈકી ગોડાઉન ધારક અલારખા બોદુભાઈ મોદીને ત્યાંથી ઘઉં-116 બોરી, કિગ્રા.6492, કિંમત:1,68,792 રૂપિયા અને ચોખાની 70 બોરી, કિગ્રા 4000, કિંમત રૂ. 1,53,192 એમ કુલ રૂ.3,21,984 નો જથ્થો સીઝ કરવામા આવેલ જયારે ઈમ્તીયાઝ સતારભાઈ કાળવતરના ગોડાઉન ખાતેથી ઘઉં-220 બોરી, 11,000 કિગ્રા જેની કિમંત રૂ.1,65,000 તથા અનાજના અવશેષો વાળા બે પીક અપ બોલેરો જીજે 07 ટીટી 7077 તથા જીજે 06 એ એક્સ 2363 સીઝ કરવામાં આવેલ હતો. જિલ્લા કલેકટરની સૂચના પ્રમાણે આગામી સમયમાં રોજીંદા ધોરણે ટીમો બનાવી સરકારી અનાજ ક્ષેત્રે થતી ગેરેરીતીઓ પકડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે.ઉપરાંત કલેક્ટરની તાકીદ છે કે, જે રેશનકાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનનું અનાજ ગેરકાયદે વેચી દેતા જણાશે તેઓના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જયારે આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં વ્યાપક પણે દરોડા હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં આવો માલ લેનાર આટા મિલો, માર્કેટિંગ યાર્ડ અને ગોડાઉનો ઉપર પણ તપાસ કરવામાં આવશે ત્યારે કલેકટર દ્વારા સરકારી અનાજને બરોબર વેચી દેવાના મામલે જિલ્લામાં કડક કાર્યવાહી શરુ કરતા સસ્તા અનાજનો ગેર કાયદે વેપાર કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- Advertisement -