કુલ આરોપીઓનો આંક 5 થયો, મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીકના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસે સરપંચ સહિત વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આ ત્રણેય આરોપીઓને વઘાસીયા ગામની સીમમાંથી ઝડપી લીધા છે પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જો કે હજુ સુધી મુખ્ય સૂત્રધાર એવો અમરશી જેરામ પટેલ પોલીસ પકડથી દૂર હોય તેની શોધખોળ યથાવત રાખી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નકલી ટોલનાકા અંગેના અહેવાલો પ્રકાશિત થયા બાદ વાંકાનેર સીટી પોલીસના યશપાલસિંહ પરમારે વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલા વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જટુભા ઝાલા અને અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્હાઈટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર વાહનચાલકોને કોઈપણ જાતની પરવાનગી લીધા વિના ગેરકાયદેસર રીતે બળજબરીથી લઇ જઈને ટોલપ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી સરકારને આર્થિક નુકશાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હોવાનો ઉલ્લેખ થયો હતો આ પ્રકરણમાં પોલીસે હાલ વધાસીયા ગામની સીમમાંથી વધાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરી હતી. આ પૂર્વે પોલીસે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરી હતી. જોકે હજુ સુધી મુખ્ય આરોપી અમરશી પટેલ પોલીસની પકડથી દૂર છે.