ફ્રીઝ, વોશિંગ મશીન, એરકુલર સહિતની 250 વસ્તુઓ ભેટ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ ‘દીકરાનું ઘર’ ઢોલરા દ્વારા છેલ્લા છ વર્ષથી પ્રતિ વર્ષ ડીસેમ્બર માસમાં યોજાતા માતા-પિતા વિહોણી 23 દીકરીઓના દેશ-વિદેશમાં જાણીતા જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ-7 આ વર્ષે યોજાનાર છે. વહાલુડીના વિવાહ-7ના મુખ્ય યજમાન તરીકે એસ. કોમ્પ્યુટરના સંજયભાઈ-માધવીબેન ધમસાણીયા પરિવાર સહભાગી થનાર છે. તમામ 23 દીકરીઓને સંસ્થા દ્વારા સુખી અને માનવતાપ્રેમી દાતાઓના સહયોગથી ફ્રીઝ, વોશિંગ મશીન, એરકુલર સહિતની 250 વસ્તુઓનો સમૃદ્ધ કરિયાવર પણ આપવામાં આવશે. સામાન્ય રીતે સંસ્થા દ્વારા પ્રતિવર્ષ 22 દીકરીઓના લગ્ન હોય છે પરંતુ ચાલુ સાલ વહાલુડીના વિવાહ-7માં એક દિવ્યાંગ દીકરીની પણ અરજી આવતા ખાસ કિસ્સામાં દિવ્યાંગ દીકરી પણ લગ્નગ્રંથિથી જોડાશે.
- Advertisement -
વહાલુડીના વિવાહ-7માં રાજકોટ, અમરેલી, કેશોદ, પાલીતાણા, માણાવદર, કોડીનાર, ભાવનગર, ગાંધીધામ, જામનગર સહિતના ગામની 23 શુકનવંતી દીકરીઓ-વહાલુડીઓ શિવાની ચુડાસમા, ઉષા વાણીયા, સ્નેહા મકવાણા, નિલમ વાળા, ખુશાલી ચંદ્રપાલ, નિશા વાણીયા, હેમાંગી પરમાર, જીનલ શીંગાળા, અંજલી વાજા, રિંકુ પંડ્યા, જાનવી જોટંગીયા, મિરાલી વાજા, શિતલ દેસાણી, પુનમ ભટ્ટી, શિલ્પા રાઠોડ, જયશ્રી સોનીગ્રા, નિકીતા ગોસાઈ, પુજા હેરમા, લક્ષ્મી નિશાદ, હિરલ ચોહાણ, નયના વાઘેલા. ચાંદની બજાણીયા, વિશાખા ધામેલીયા આગામી તા. 29 ડીસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે સમાજજીવનના સર્વક્ષેત્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર ચિરસ્મરણીય લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડશે. વહાલુડીના વિવાહ અંગે વિશેષ માહિતી-પૂછપરછ તેમજ દીકરીઓને કરિયાવરની વસ્તુ આપવા માગતા દાતાઓએ અનુપમ દોશી 9428233796, સુનિલ વોરા 9825217320નો સંપર્ક સાધવા જણાવાયું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઈ રાચ્છ, કિરીટભાઈ આદ્રોજા સહિતના સ્વજનો જહેમત ઉઠાવી રહ્યા છે.