માછીમારો વતન પહોચતા પરિવાર સાથે ભેટો થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ગીર સોમનાથ જીલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ 2021 – 22 દરમ્યાન બંધક બનાવવામાં આવ્યા હતા.જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે.જે તમામ માછીમારોને આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા.ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષે પરિવારજનોને જોઈ ચોધાર આંસુઓ પરિવારજનો અને માછીમારો રડી પડ્યા.
- Advertisement -
હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ
હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ છે અને તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટા ભાગના માછીમારો હૃદય, ડાયાબિટીસ, ટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. જે.પી.તોરણીયા (આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ – જામનગર)
ચાર વર્ષથી પતિ જેલમાં કેદ હોવાથી ઘર પણ મુશ્કેલીથી ચાલતું
ચાર વર્ષથી પતિ જેલમાં કેદ હોવાથી ઘર પણ મુશ્કેલીથી ચાલતું હતું આ સિવાય દિકરાના લગ્ન પણ કરવાના હતા જેથી આવી પરિસ્થિતિ અન્ય માછીમારોને ન વેઠવી પડે તે માટે વહેલી તકે ભારત સરકાર અન્ય માછીમારોને પરત લાવે તેવી રજૂઆત કરીએ છીએ. માછીમારનાં પત્ની



