ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025 સોમવારના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારની અધ્યક્ષતામાં 67મી પેન્શન અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર, ફીક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 5 કેસ અને મંડળીય કચેરીના 207 કેસ સહિત કુલ 212 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ અંગે ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ પેન્શન અદાલતને સફળ બનાવવામાં કાર્મિક વિભાગ, નાણાં વિભાગ, સેટલમેન્ટ શાખા અને કલ્યાણ નિરિક્ષકોની ટીમે તમામ કેસોનો ઝડપથી ઉકેલ, પેન્શન અદાલતની તળ સ્પર્શતી અને ત્વરિત કાર્યવાહી કરાઇ હતી. જેમાં ઓલ ઈન્ડિયા રેલવે પેન્શનર્સ એસોસિયેશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પેન્શન અદાલતમાં અપર મંડલ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા, વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી હુબલાલ જગન, સહાયક કાર્મિક અધિકારી વાઈ રાધેશ્યામ, સહાયક કાર્મિક અધિકારી-બ્રોડગેજ વર્કશોપ દીનાનાથ વર્મા અને સહાયક વિત્ત પ્રબંધક સંજય સક્સેના ઉપસ્થિત રહ્યા હતા.