20 હજાર મતદાર કરશે ચૂંટણીનો બહિષ્કાર
મતદાન બહિષ્કારના બેનર સાથે મહિલાઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજા પાસે મત માગવા રાજકીય નેતાઓ દોડી રહ્યા છે. પરંતુ ચૂંટણી સમયે જ પ્રજા પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ 25 સોસાયટીમાં 20 હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું. લોકોએ એકત્ર થઈને ‘હમારી માંગે પૂરી કરો પૂરી કરો, અમને પાણી પૂરું પાડું, નેતા ખુરશી ખાલી કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓમાં પિવાના પાણીને લઈને આક્રોશ જોવા મળ્યો હતો. જો તંત્ર દ્વારા આ સોસાયટીના લોકોની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો કોઈ પણ મતદાન કરશે નહીં તેવો નિર્ણય લોકોએ કર્યો છે. તેમજ આગળ પણ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
બેનરમાં શું દર્શાવીને કર્યો વિરોધ ?
-અમારી સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષે મત માગવા આવવું નહીં
-અમારા વિસ્તારમાં નળ (પિવાનું પાણી) નહીં તો મત નહીં
-આથી અમે સોસાયટીમાં રહેતા તમામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ
-છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરી દીધા બાદ પણ આજદિન સુધી -અમારા વિસ્તારને મળ, પાકા રોડ-રસ્તા, જાહેર સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ મળતી નથી
- Advertisement -
‘અમારા વિસ્તાર સાથે બાંગ્લાદેશીઓ જેવો વ્યવહાર’
સ્થાનિક લોકોએ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, નથી કોઈ પાણીની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા, કચરાની ગાડી પણ સમયસર આવતી નથી. એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં ચાર-ચાર વર્ષથી સ્ટ્રીટ લાઈટ નથી, અરજીઓ પણ કરી છે, રાત્રે ચાલવું કેવી રીતે. આ વિસ્તાર બાંગ્લાદેશમાં રહેતો હોય તેવું જ અમારી સાથે પ્રશાસન વ્યવહાર કરે છે.
અનેકવાર રજૂઆત કરી પણ કોઈ જવાબ દેતું નથી
મોટામવાની આંગણ ગ્રીન સોસાયટીમાં રહેતા હરસુખભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે, હું અહીં છેલ્લા 10 વર્ષથી રહું છું. અમે પ્રાથમિક સુવિધાઓ માટે જે-તે તંત્રને અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. આ વિસ્તારમાં દર મહિને બેથી અઢી હજારનું પાણી વેચાતું લેવું પડે છે. આવડી મોટી સમસ્યાનું મેયર અને કોર્પોરેટને ધ્યાન દોર્યું હોવા છતાં આજદિન સુધી જવાબ આપ્યો નથી.