જર્જરીત આવાસમાં દેશમાં ત્રીજા નંબરે ગુજરાત
કેન્દ્ર સરકારના સર્વે પ્રમાણે ભારતમાં 35 કરોડ જેટલાં જર્જરિત આવાસ છે જે પૈકી 22.50 કરોડ આવાસ ગ્રામીણ વિસ્તારમાં
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કેટલા આવાસ ખાલી છે અને કેટલા રહેવા લાયક છે તેનો રસપ્રદ સર્વે થયો છે. આ સર્વેમાં જર્જરીત હાલતમાં જે આવાસો છે તેમાં સૌથી વધુ સરકારી આવાસોનો સમાવેશ થાય છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ જર્જરીત સરકારી આવાસો માલુમ પડયા છે.
કેન્દ્ર સરકારના સર્વે પ્રમાણે ભારતમાં 35 કરોડ જેટલા આવાસો છે જે પૈકી 22.50 કરોડ આવાસો ગ્રામીણ વિસ્તારમાં છે અને 12.50 કરોડ મકાનો શહેરી વિસ્તારમાં આવેલા છે. એવી જ રીતે 1.80 કરોડ મકાનો ગુજરાતમાં આવેલા છે જે પૈકી 95 લાખ આવાસ ગ્રામીણ વિસ્તારમાં અને 85 લાખ આવાસ શહેરી વિસ્તારમાં છે. મહત્વની બાબત એવી છે કે ભારતમાં હાલની સ્થિતિએ 2.80 કરોડ આવાસ ખાલી પડયાં છે જેમાં માનવ વસવાટ નથી. આ આવાસો વેચાયા નથી અથવા તો રહેવા લાયક નથી. એવી જ રીતે ગુજરાતના સર્વે પ્રમાણે 30 લાખ જેટલા આવાસો ખાલી પડયાં છે.
ગુજરાતમાં જે આવાસોનો ઉપયોગ થાય છે તેમાં સૌથી વધુ 1.25 કરોડ આવાસોમાં માનવ વસવાટ છે. 6 લાખ આવાસ એવાં છે કે જેમાં રહેણાંકની સાથે કોમર્શિયલ પ્રવૃત્તિ થાય છે. દુકાન તેમજ કચેરી હોય તેવા આવાસોની સંખ્યા 14.50 લાખ જેટલી થવા જાય છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભયજનક ઇમારતો માત્ર ગામડાઓમાં નહીં, શહેરોમાં પણ જોવા મળે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ જ્યાં રહે છે ત્યાં સરકારી આવાસો ભયજનક બન્યાં છે. પાટનગરમાં 40 વર્ષ પહેલાં બનેલા 17000 પૈકી 7500 સરકારી આવાસો રહેવાલાયક રહ્યાં નથી તેથી અમારો વિભાગ જૂના આવાસોને પાડીને નવા આવાસનું નિર્માણ કરી રહી છે.
- Advertisement -
હવે અમારૂં પ્લાનિંગ બહુમાળી સરકારી મકાનોનું છે. અલબત્ત, કેન્દ્રના તાજેતરના એક સર્વેમાં જણાવાયું છે કે ભયજનક ઇમારતોની સૌથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં છે. ગુજરાતનો ક્રમ ત્રીજો આવ્યો છે. ગુજરાતમાં કુલ 1.80 કરોડ જેટલા ઘર આવેલા છે જે પૈકી 2.35 લાખ જેટલા ઘર રહેવાલાયક રહ્યાં નથી. આ ઘરની મરામત પણ થતી નથી અને તેને પાડીને નવું મકાન બનાવવામાં આવતું નથી.
વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જે જર્જરીત રહેણાંકના મકાનો છે તે પૈકી 1.50 લાખ મકાનો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે જ્યારે 85000 જેટલા મકાનો શહેરી વિસ્તારમાં આવેલા છે. જર્જરીત મકાનોના સર્વે પ્રમાણે અમદાવાદમાં 14 હજાર મકાનો જર્જરીત છે.
રાજ્યના બનાસકાંઠામાં જર્જરીત મકાનોનો આંકડો 22 હજાર થયો છે. રાજકોટમાં આઠ હજાર, ભાવનગરમાં 7500, વડોદરામાં 10,000 અને સુરતમાં 10,500 મકાનો રહેવા લાયક નથી. એકમાત્ર ડાંગ અને તાપી જિલ્લો એવો છે કે જ્યાં જર્જરીત મકાનોની સંખ્યા સૌથી ઓછી એટલે કે 500ની આસપાસ છે.